Tuesday, March 31, 2020

ભગવાનના કામને ચેલેન્જ કરી શકે એવો એકમાત્ર વ્યક્તિ એટલે ડોક્ટર.

અનેકવાર સાંભળવા મળ્યું છે કે, ભગવાન બાદ આ જગતમાં ચાર જણાં એવા છે જે ચમત્કારો સર્જી શકે છે. માતા-પિતા, શિક્ષક, ડોક્ટર અને વૈજ્ઞાનિક. ભૂતકાળમાં પણ મેજિક કર્યા છે, હાલ પણ કરી રહ્યાં છે અને ભવિષ્યમાં પણ કરતાં રહેશે. ભારત એક એવો દેશ છે જ્યાં વર્ષોથી કહેવાતું આવ્યું છે- "Doctors are second to god on this earth." આપણાં શાસ્ત્રોની વિશેષતા તો જુઓ, ભગવાનને પણ ડોક્ટરની જરૂર પડે છે. સ્વર્ગના બે પરમેનન્ટ ડોક્ટરો છે. ગ્રીકમાં પણ દેવોના ફિજીશિયન હતા.

સૂર્યને પ્રભા નામની પત્ની હતી. આ પ્રભાથી સૂર્યનું તેજ સહન ન થયું. પ્રભા ઘોડીનું રૂપ લઈને ત્યાથી ભાગી. સૂર્યદેવ પણ ઘોડાનું રૂપ લઈ તેની પાછળ પડ્યાં. આગળ જતાં તેમની વચ્ચે સબંધ બંધાતા બે જોડિયા પુત્ર અવતર્યા. આ ટ્વીન્સ અશ્વિનીકુમાર કહેવાયા. અશ્વિની=ઘોડી અને કુમાર=પુત્ર. જેઓ સ્વર્ગના વૈધ છે. તેઓ સદાય સુંદર અને જુવાન દેખાય છે. આ બે માસ્ટર ડિગ્રીવાળા ડોકટરોએ ઘરડા ચ્યવન ઋષિને તેઓએ ફરી જુવાન બનાવ્યા અને આંખો આપી.( ચ્યવનપ્રાશ યાદ આવ્યું ?) મહાભારતના માદ્રીપુત્ર નકુળ-સહદેવના પિતા એટલે અશ્વિનીકુમાર.

મહાન એવા દેશ ભારતમાં ડોક્ટરોને "વૈધ" કહેવાનો રિવાજ હતો. આધુનિક ડોક્ટર તો અંગ્રેજ શાસન આવ્યા બાદ જોવા મળ્યાં. સદીઓથી મેડિકલ ક્ષેત્રે ભારત ધ્વજવાહકની ભૂમિકામાં હતું. આપણે ત્યાં એવું કહેવાતું હતું કે, કોઈપણ રોગના જુદાજુદાં સો મારણો જાણનાર "ખરેખરો વૈદ્ય" કહેવાય. જ્યારે એક જ રોગના બસો ઉપચારો જાણનારો "વૈદ્ય ભિષજ" કહેવાય છે.

આ સિવાય ડોક્ટરોના ત્રણ પ્રકાર કહેવાય છે.(1) જે ડોક્ટર જેમ-તેમ કરીને ડિગ્રી મેળવીને, બીજા ડોક્ટરના જેવાં સાધનો વસાવીને સારા ડોક્ટર હોવાનો ડોળ કરે એવા. (2) બીજો એવો કે જેનામાં ગુણ ન હોય પણ ધનાઢ્ય, જ્ઞાની અને ઉચ્ચ વર્ગના લોકોની પ્રસંશાને કારણે ડોક્ટર તરીકે ઓળખાતો હોય. (3) ડોક્ટરને લગતી તમામ વિદ્યામાં પારંગત હોય, ડોક્ટરના તમામ ગુણ ઠાંસીઠાંસીને ભરેલા હોય એવો ડોક્ટર.... જેની પાસે ઉચ્ચ કક્ષાની ડિગ્રી છે પણ કરૂણા, દયા અને પરોપકારના ગુણ ન હોય તો તેને "હાફ-ડોક્ટર" ગણવો.

રોગની પરિક્ષા કરી દવા આપવાનો ધંધો કરનાર માણસ એટલે દાક્તર. આવી સીધી સમજણ આપણાં સૌની છે. દાક્તરની એક ખૂબી એવી છે જે ક્યારેક સંતોમાં પણ જોવા મળતી નથી- પોતાને કોઈ લોહીનું સગપણ નથી, તે પોતાનો કોઈ સગો-સંબંધી નથી, તે પોતાનો દિલોજાન મિત્ર નથી, તેના પ્રત્યે દયાભાવ રાખી તેની સારવાર કરવી એ અત્યંત કઠિન કામ તેઓ કરે છે. એક સર્વે એવું દર્શાવે છે કે, ડોક્ટરો દર્દીને 18 સેકંડથી લઈને 30 મિનિટ સુધી તપાસે છે, સાંભળે છે અને રોગનું નિદાન કરવા પ્રયત્ન કરે છે. મોટાભાગે તેઓનું નિદાન સાચું હોય છે. માત્ર શ્યોર થવા ઘણીવાર ટેસ્ટ કરાવે છે. આજે જે પરિસ્થિતી ઊભી થઈ છે તેમાંથી કોઈ બચાવી શકે એમ હોય તો આ આધુનિક અશ્વિનીકુમારો જ છે.

પોતાના ફેમિલીને ભગવાન ભરોસે મૂકી બીજાનો ભગવાન બનનાર આ આપણાં સમાજનો સાચો ભગવાન છે. પોતાના જીવને જોખમમાં મૂકી રાઉન્ડ ધ ક્લોક સેવા કરનાર અત્યારે આ જ એક છે. આજેપણ આપણાં બુધ્ધિના બાળ બ્રહ્મચારીઓ બીમારીમાથી સાજા થઈને કહે છે, "દસ હજાર ખર્ચ થયો ત્યારે સારું થયું." દાક્તરની જગ્યાએ ધનને ક્રેડિટ આપવાની આદત સુધારવા જેવી છે. જો પૈસા અને જ્ઞાનથી જ કોઈના જીવ બચતાં હોત તો રાજાઓ આજેય સજીવન હોત !! સિકંદર અને અશોક રાજ કરતાં હોત !

ડોક્ટરોની ફી વધારે હોય તેનું કારણ છે-જ્યારે તેઓની સાથે ભણનારા મજાક મસ્તી અને ધિંગા મસ્તી કરતાં હતા ત્યારે આ લોકો આંખો ફોડીને-ઉજાગરા કરીને ભણતા હતા. પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષો દાક્તરી જ્ઞાન મેળવવામાં ખર્ચી નાંખ્યા. યુવાની બાયોલોજી નામની પ્રેમિકા સાથે વીતાવી નાંખી. નાનપણથી સતત અને લાગલગાટ ઉચ્ચ ક્રમાંક મેળવ્યો ત્યારે આજે જેને તમે ફી કહો છો એ "ફળ' મળે છે. તમને પણ એ ફળ મળી શકતું હતું પણ તમે એ ન મેળવી શક્યા. આજે અત્યંત જ્વલનશીલ બની એની નિંદા કરો છો એ યોગ્ય નથી.

ડોક્ટરને ક્યારેય નાત-જાત, રંગ, ધર્મ, વર્ગ હોતાં નથી. હા, કબૂલ કે ડોક્ટર ફી કરતાં તેની સેવાથી વધારે ઓળખાય છે. ખેડા જિલ્લાના માતર તાલુકાનાં એક નાનકડાં ગામ માલાવાડામાં વૈદ્ય ભીખાભાઈ રબારી વસે છે. લકવાના રોગના સ્પેશયાલિસ્ટ ગણાય છે. અનેક લોકો દૂરદૂરથી સારવાર માટે આવે છે. કોઈ ગરીબ સારવાર માટે આવે તો આ ભોળિયો વૈદ્ય દવાના પૈસા તો ન લે ઉપરથી જમાડે અને જવા-આવવાનું ભાડું પણ આપે !!! આભને ટેકો આપનારા આવા લોકોથી પૃથ્વી વિહરવા યોગ્ય રહી છે. માતર પાસે "માનવ પરિવાર" નામે દર્દીઓનું પિયર આવેલું છે. વિનામૂલ્યે અત્યાધુનિક દવા અને સારવાર મફત મળે છે, વળી દર્દીઓ માટે જમવાનું પણ હોય છે.

આજે કોરોનાના કહેરથી બચાવવા આ દેવદૂત મેદાને પડ્યો છે. તેનો ઉત્સાહ વધારો. તેને માન-સન્માન આપો. તેનો પડ્યો બોલ ઝીલો. આપણાં દેશમાં ડાકટરોની અછત છે. તેઓએ દવાખાનાના દરવાજા ખુલ્લા મૂકી દીધા છે. આજે ડોક્ટરો, પરિચારિકાઓ, વોર્ડ બોય, પેથોલોજીસ્ટો, સ્વીપરો સૌનો આભાર માનો. પ્રભુને પ્રાર્થના કરો કે, તેઓ પોતાના કાર્યમાં સફળ થાય. મારી જાણ મુજબ સૌથી વધુ શાંતિના નોબલ પ્રાઈઝ રેડક્રોસ સોસાયટીને મળ્યાં છે. એકવાર કહ્યું હતું કે, એક હજાર ફરીસ્તા બરાબર એક ડોક્ટર. આજે એ વાત સાચી પડી છે.

ડોક્ટર છેવટે માણસ છે અને વિજ્ઞાનની એક મર્યાદા છે.આ વાતનું સ્મરણ રાખજો.

જે.કે.સાઁઈ

No comments:

Post a Comment