Thursday, September 30, 2010

himself away

તમારી આંતરશક્તિને અનુસરો
A man who trims
himself to suit
everybody will soon
whittle himself away. – Charles Schwab
દરેક વ્યક્તિએ પોતાના ધોરણ મુજબ જ જીવવું જોઈએ. કોઈ બીજાએ ઘડેલી માર્ગરેખા ઉપર આપણે દોડી શકીએ નહીં. કોઈ સાહસ કરવા જઈએ તો બીજાના મતથી ડરીએ તો સાહસ થતું નથી. વળી તમારી જાતને બીજા લોકોના અભિપ્રાય પ્રમાણે ઘડ્યા કરશો તો લોકો પોતપોતાના મતથી તમારાં છોતરાં ઉડાવી દેશે. જગતના તમામ લોકોને તમે ખુશ રાખી શકતા નથી. કંઈક ઊજળું અને અનોખું કરવા જતાં, કોઈકને નારાજ કરવા જ પડશે. બીજાના રાજીપા માટે તમારી જાતને કે તમારા સિદ્ધાંતોને પાતળા બનાવી શકાય નહિ. બીજાના અભિપ્રાય ઉપર ચાલનારો જલદીથી નષ્ટ થઈ જાય છે. માત્ર તમારી આંતરશક્તિને અનુસરીને કામ કરો. આત્માનો અવાજ જ તમને સાચે રસ્તે પહોંચાડે છે.

Wednesday, September 29, 2010

BHAICHARO KELVO....

ભાઈચારા-સદભાવના દર્શન કરવા અયોધ્યા જાવ

અયોધ્યામાં જે જમીનને લઈને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે, તે રામકોટ વિસ્તારમાં છે. રામકોટ વોર્ડમાં 85 ટકા હિંદુઓ રહે છે. આ સદભાવની પરાકાષ્ઠા છે કે ગત 15 વર્ષોથી આ વોર્ડના સભાસદ હાજી અસદ છે. હાજી અસદના કાકા હાજી મહબૂબ બાબરી મસ્જિદ વિવાદમાં પક્ષકારો છે. મતદાતાઓએ ક્યારેક હાજી અસદની તેની ધાર્મિક ઓળખ દેખી નથી. તેમણે વાતચીતમાં કહ્યું હતું કે 1989થી 1992માં આટલાં મોટા જમાવડા બાદ પણ તેમનો કોઈએ વાળ પણ વાંકો કર્યો નથી. તેનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે છે? સમગ્ર દેશને અયોધ્યાથી જ શીખવું જોઈએ. 

અયોધ્યામાં મુસલમાનોની મસ્જિદ અને મકબરા હિંદુ વિસ્તારમાં છે. તેમની સુરક્ષા પણ હિંદુ જ કરી રહ્યાં છે. સ્વર્ગદ્વાર વિસ્તારમાં શાહ ઈબ્રાહીમની મજાર હોય કે નિર્મોચન ઘાટ પાસે બનેલી મસ્જિદ કે કોતવાલી પાસે બનેલી નૌગજી મસ્જિદ હોય. આ તમામ સાક્ષી પૂરે છે કે તેમની સુરક્ષા હિંદુઓએ કરી છે. આ સદભાવ ક્યારેય ઓછો થયો નથી. 

અયોધ્યાથી પાંચ કિલોમીટર દૂર જપ્તીવજીરગંજના અનિલ સરસ્વતી વિદ્યા મંદિરમાં મુસ્લિમ બાળકોને શિક્ષણ આપે છે. આ સંસ્થા આરએસએસ સાથે જોડાયેલી છે. માટે કેટલાંક નેતાઓ જરૂર વિદ્યામંદિર શાળાઓને કોમવાદ ભડકાવનારી સંસ્થા તરીકે પ્રચારીત કરે છે. 

ફૈઝાબાદમાં હિંદુ હોય કે મુસલમાન, લાવારીશ લાશોનો અંતિમ સંસ્કાર મોહમ્મદ શારિક કરે છે. શારિકે અત્યાર સુધીમાં 1500થી વધારે લાશોને તેમના ધર્માનુસાર અંતિમ સંસ્કાર કર્યો છે. 

અયોધ્યા અને ફૈઝાબાદના જયશંકર પાંડેય અને સૂર્યકાંત પાંડેય બ્રાહ્મણોથી વધારે મુસ્લિમોમાં લોકપ્રિય છે. માત્ર એટલું જ નહીં, દેશના અન્ય બીજા ભાગોથી જ્યારે કોઈ ભક્ત અયોધ્યા પહોંચે છે, તો તેને ભગવાનની પૂજા માટે શું શું સામગ્રી જોઈએ? ફૂલ, માળા, હવન સામગ્રી, ખડાઉ, વસ્ત્ર ....વગેરે. આ વસ્તુઓ વેચનારા ઘણાં દુકાનદારો મુસલમાન છે. અહીં ઘણાં અર્થોમાં રામરાજ્ય છે. અયોધ્યામાં તમામ શિલ્પકાર, માળી અને મૂર્તિકાર મુસ્લિમ સમુદાયમાંથી છે. અયોધ્યા આસપાસ ફૂલોની ખેતર મળે તો નિશ્ચિત જ તે કોઈ મુસ્લિમનું હશે. સમગ્ર પરિવાર ફૂલોને માળામાં ગુંથીને મંદિરો સુધી પહોંચાડે છે. ભક્ત અને શ્રદ્ધાળુઓને ક્યારેક હિંદુ અને મુસ્લિમ દુકાનદારોમાં કોઈ ભેદ નથી. તેમને તો માત્ર તેમના આરાધ્યની આરાધનાથી મતલબ છે. 

અયોધ્યાના અશર્ફી ભવન નજીક મુસલામોનના 15-16 પરિવારોનો ખાનદાની ધંધો છે, મંદિરોમાં ફૂલો પહોંચાડવા. તેઓ ખેતરોમાં ફૂલો ઉગાડે છે. અશરફ અલીને પોતાના વ્યવસાય પર ગર્વ છે. તેમના જણાવ્યા પ્રમાણે, તેઓ પેઢી દર પેઢીથી અયોધ્યા આવનારા ભક્તોને પૂજા માટે ફૂલ-માળાઓ અને અન્ય સામગ્રી ઉપલબ્ધ કરવી રહ્યાં છે. ક્યારેય કોઈએ મુસલમાન હોવાને કારણે તેમની પાસેથી ફૂલ લેવાનો ઈન્કાર કર્યો નથી. વળી તેમને ક્યારેય કોઈએ ડરાવ્યા-ધમકાવ્યા નથી કે તેમની દુકાનોનો બહિષ્કાર પણ કર્યો નથી. 

રામમંદિર આંદોલન તેની ચરમસીમાએ હતું, ત્યારે પણ મુસ્લિમ દુકાનદારો આરામથી પોતાની દુકાનો પર હતા. દોરાહી કુઆંના સાદિક અલી ઉર્ફે બાબુ ખાન પણ અયોધ્યામાં સાંપ્રદાયિક સદભાવનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેઓ શ્રીરામલલાના વસ્ત્ર સિવવામાં પોતાને ખુશનસીબ માને છે. શ્રીરામલલા વિરાજમાન 1949માં પ્રગટ થયા હતા, પરંતુ બાબુ ખાનને આ વિવાદથી કોઈ લેવા દેવા નથી.

>> Sha Mate ? Q. 1

રાત્રે વૃક્ષ નીચે સુવું જોઇએ...?


જેને દમ કે શ્વાસ સંબંધિત અન્ય કોઇ બીમારી હોય તેમણે તો રાતના સમયે ક્યારેય વૃક્ષ નીચે ન જવું જોઇએ.

ધગધગતી ગરમીમાં જો વૃક્ષની શીતળતાનો સહારો મળી જાય તો બધો થાક ઉતરી જાય. દિવસ દરમિયાન વૃક્ષ નીચે રહેવું જેટલું ફાયદાકારક છે તેટલું જ પ્રતિકુળ રાતના સમય માટે છે. વિજ્ઞાન કહે છે કે દિવસે વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે અને ઓક્સિજન છોડે છે. આ ક્રિયા રાત્રિના સમયે ઊંધી થઇ જાય છે. એટલે કે રાતે વૃક્ષ ઓક્સિજન ગ્રહણ કરીને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. માણસ ઓક્સિજન ગ્રહણ કરી કાર્બન ડાયોક્સાઇડ છોડે છે માટે રાતે વૃક્ષ નીચે સુવાથી જરૂરી ઓક્સિજન નથી મળી શકતું. જે આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. રાતના સમયે વૃક્ષ નીચે જવા માટે મનાઇ ફરમાવવામાં આવી છે, તેનું કારણ પણ આ જ છે. જેને દમ કે શ્વાસ સંબંધિત અન્ય કોઇ બીમારી હોય તેમણે તો રાતના સમયે ક્યારેય વૃક્ષ નીચે ન જવું જોઇએ.


Thanxxxxxxx all friend to comment...


Read More blog.... visit  www.rkdangar.blogspot.com

Tuesday, September 28, 2010

You miss the sunshine, if you concentreateon shadows


તમે જોયું હશે કે વંટોળિયો આવે ત્યારે ધરતી પરની ધૂળ એ વંટોળ ભેગી ઊંચે ચડે છે. વંટોળ વહેતો રહે ત્યાં સુધી એ રજકણો ઉપર અવકાશમાં ઘૂમ્યા કરે છે અને વંટોળ શમી જતાં એ જ રજકણોને પાછું પતન પામીને ધરાશાયી થવું પડે છે. આજનો માનવી મોટે ભાગે આ રજકણો જેવી જ પોકળ પ્રતિષ્ઠામેળવે છે. પોકળએટલા માટે કે એ પ્રતિષ્ઠા કે પ્રસિધ્ધિ પાછળ સિધ્ધિ, સત્યનિષ્ઠા કે ઉચ્ચ અને શુધ્ધ ધ્યેય મોટે ભાગે હોતાં નથી. એટલે જ વંટોળિયાની રજકણો પેઠે પોલી પ્રતિષ્ઠાથોડી જ વારમાં પાછી નીચે આવી જાય છે ! અને છતાં આશ્ચર્ય અને દુ:ખની વાત તો એ છે કે આજનો માનવી આવી પોકળ પ્રતિષ્ઠા પાછળ આંખ મીંચીને દોટ મૂકે છે ! પ્રતિષ્ઠા કે પ્રસિધ્ધિ એ તો સાચી, સંનિષ્ઠા અને શ્રમસાધ્ય સિધ્ધિની પાછળ આપમેળેઆવતો સિધ્ધિનો પવિત્ર અને સ્થાયી યશમુકુટ છે, એ સત્ય આજનો માનવી મોટે ભાગે વીસરી જતો લાગે છે.
આજના યુગના બે મહારોગો તે ધનલાલસા અને કીર્તિલાલસા. ધનલાલસા આજના યુગમાં તીવ્રતર બનતી જાય છે એનું કારણ એ છે કે આજના યુગમાં માનવીની મહત્તાનો માપદંડ પૈસોજ બની ગયો છે ! આજ ના માનવીએ પોતાની જરૂરિયાતો અને વિલાસો એટલાં બધાં વધારી દીધાં છે કે આજે તો માનવી કાજે પૈસોલગભગ અનિવાર્યથઈ પડયો છે ! વળી આ ધનલાલસામાં કીર્તિલાલસા ભળતાં જેટલું વધુ ધન પોતે મેળવશે એટલો વધારે મહાન પોતે લેખાશે એવી માન્યતા પણ આજના માનવીના મનનો કેડો મૂકતી નથી ને આજનો માનવી આંખો મીંચીને ધન અને કીર્તિનાં મૃગજળ પાછળ દોડયે જ જાય છે ! આને પરિણામે અનેક અનિષ્ટો જન્મે છે. ગમે તે માર્ગે ધન મેળવવામાં આજે માનવીને સંકોચ થતો નથી કે કોઈ નૈતિક સિધ્ધાંત આડે આવતો નથી. પ્રતિષ્ઠા માટે એ પ્રચારનો આશ્રય લે છે ને એ રીતે કેવળ પોતાના સ્વાર્થને ખાતર એ આજના યુગના એક મહાદૂષણ પ્રચારને અપનાવે છે. પરિણામે એને પ્રતિષ્ઠા તો મળે છે, પણ તે વંટોળના પેલા રજકણ જેવી જ !
સિધ્ધાંતપ્રિયતા, નીતિપ્રિયતા, ચારિત્ર્ય, ન્યાયપ્રિયતા, પ્રેમાળતા, સંતોષ, ગરવી ગરીબીને જોવાની આંખ, સાચની ખુમારી આ સર્વ સદ્ગુણો આજનો માનવી આ કારણે જ ગુમાવી બેઠો છે અને તેમને સ્થાને પવન તેવી પીઠ દેવાનો સિધ્ધાંતહીનતાભર્યો સિધ્ધાંત, નીતિ કે ઈશ્વર તરફ આંખમીંચામણાં કરવાની ટેવ, ચારિત્ર્યહીનતા, ગમે તે પ્રકારે આગળ વધવાની ઈચ્છા, દંભ, મહત્ત્વાકાંક્ષાના ઓઠા હેઠળ લાલસાનો ગુણાકાર, ગરીબોને અને ગરીબીને હીણવાની હીન વૃત્તિ, અસત્યનું અસત્ય શરણ વગેરે દુર્ગુણો આજના માનવીને ઘેરી વળ્યા છે. અને સૌથી વધારે દુ:ખની વાત તો એ છે કે આ સર્વ દુર્ગુણોને જીવનની કહેવાતી પ્રગતિ કાજે અનિવાર્યલેખતો આજનો માનવી જીવનનો, જીવનસત્યનો, જીવનમર્મનો કે જીવનધર્મનો તાત્ત્વિક રીતે કદી વિચાર જ કરતો નથી ! એવો પામર અને દયાપાત્ર બની ગયો છે આજના યુગનો દંભી માનવી, જેની ક્ષણિક અને પોકળ પ્રતિષ્ઠા છેવટે વંટોળના પેલા રજકણોની પેઠે થોડા સમયમાં જ ધરાશાયી થઈ જાય છે !

Thanx……… to  ચાંપશી ઉદેશી

Monday, September 27, 2010

BAGASA

માણસને બગાસાં કેમ આવે છે ?
બગાસું આવવાનું વૈજ્ઞાનિક કારણ હજુ પણ સંશોધનનો વિષય છે. છતાં અત્યાર સુધીનાં શોધનમાં અમુક તથ્યો બહાર આવ્યા છે. દિવસના અંતે માણસ થાકે ત્યારે તેના સ્નાયુઓ શિથિલ થતાં શ્વાસોશ્વાસ આપમેળે ધીમો પડે છે. પુખ્ત વયના માણસને દર મિનિટે છ લીટર હવા જોઈએ. તેમાંની 15% હવા એકલું મગજ વાપરી નાખે છે. માટે એ હવાનો પુરવઠો તેને પહોંચાડવા દર મિનિટે 0.85 લીટર જેટલું લોહી મગજમાં ફરી વળે છે. શ્વાસોચ્છવાસનો દર ઘટી જતાં મગજને ગૂંગળામણ થાય એટલે તે બગાસાનો સંકેત આપે છે. અને ઊંડો શ્વાસ લેવા માટે ફેફસાને આદેશ મોકલે છે. ત્યાર બાદ આવતું સરેરાશ બગાસું 5.5 સેકન્ડ સુધી ચાલુ રહે છે. જો એક બગાસાથી મગજને રાહત ન થાય તો બીજું, ત્રીજું અને ચોથું બગાસું પણ આવે છે. ઉપરાઉપરી બગાસાં ખાવા પડે તે ઊંઘ આવવાનો સંકેત છે. ઊંઘ આવ્યા પછી શરીરનું તંત્ર વધારે ઑક્સિજન માગતું નથી. એટલે સામાન્ય રીતે દિવસના સમયમાં બગાસાં આવતાં નથી. સિવાય કે કોઈ કામ કંટાળાજનક લાગતું હોય.

Sunday, September 26, 2010

સંબંધના છોડમાં લાગણીનું સીંચન..

ખોટી વ્યક્તિ કે ખોટા સંબંધમાં કરેલું લાગણીનું રોકાણ ખોટના ધંધા જેટલું જ પીડાદાયક થઇ શકે. તો સાચા માણસ કે સમજણસમૃદ્ધ સંબંધમાં કરેલું લાગણીનું રોકાણ આત્મવિશ્વાસની બેલેન્સને તગડી બનાવે.

ચૈત્ર - વૈશાખના તડકાથી દાઝતા હોઇએ ત્યાં અચાનક કયાંકથી ઠંડા પવનની એકાદ લહેરખી જરાઅમથી સ્પર્શીને વહી જાય તોય કેવી હા...શ અનુભવાય છે! થાય છે એ કૂલ કૂલ અહેસાસને પકડી રાખીએ પણ લહેર તો વહેવામાં માને. હજી તો આવી - અરે કયાંથી આવી તેનાં પગલાં શોધીએ તે પહેલાં તો કયાં ચાલી ગઇ? પણ એ પલકવારમાંય પોતાની આગવી હૈયાતીની હાજરી પુરાવી જાય છે. એ ક્ષણના સહવાસમાં અનુભવાયેલી ઠંડક પેલા દાહક સમયખંડની પ્રચંડ અસરને પળવાર માટે શિકસ્ત દઇ દે છે. કયા બાત હૈ! 

શીતળતાની એક પાતળી લકીરની કેટલી પાવરફુલ પહેચાન?

આ તો થઇ તનના તાપ-દાહ અને તે પરના શીતળતાના લેપની વાત પણ મનના પરિતાપ અને તેને હરતી સંબંધોની શીળી છાંયની તાકાત કંઇ ઓછી નથી. હમણાં જ એક અમેરિકન વ્યક્તિત્વઘડતર નિષ્ણાતનું લખાણ વાંચ્યું. તેઓ લખે છે કે વ્યક્તિના આત્મવિશ્વાસને પ્રબળ અને સઘન બનાવતું સૌથી સશકત પરિબળ કોઇને મારી જરૂર છે, કોઇ મને પ્રેમ કરે છેએ અહેસાસ છે. તો દુનિયામાં કોઇને મારો ખપ નથી, હું કોઇના પ્રેમનું પાત્ર નથીએવી લાગણી આત્મવિશ્વાસની મૂડીને હણવામાં અગ્રેસર પરિબળ છે.

આ લખી રહી છું ત્યારે તાજા જ વાંચેલા એક સમાચાર નજર સામે તરવરે છે. ભાભા એટમિક રિસર્ચ સેન્ટરની એક સાયન્ટિફિક ઓફિસર - સત્તાવીસ વર્ષની એક યુવતી - એ પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ હોદ્દો ધરાવતી અને સંપન્ન પરિવારમાંથી આવતી એ યુવતીની જીવવાની ઝંખના મરી પરવારી! 

છેલ્લાં વરસોમાં દેશ અને દુનિયામાં થયેલી આત્મહત્યાઓના આંકડા જોઇએ, અને ખાસ તો જે સંજોગોમાં કેટલીક આત્મહત્યા થઇ છે તે જોઇએ ત્યારે એક વાતની પ્રતીતિ થાય છે કે ઉચ્ચ શિક્ષણ પામેલા, વેલ-ટુ-ડુ અને સમાજમાં આગવું સ્થાન ધરાવતાં અનેક યુવક-યુવતીઓની જિંદગીમાં કશુંક અત્યંત તીવ્રતાથી ખૂટતું હતું. એમાંનાં ઘણા ખરા ડિપ્રેશનમાં હોવાની વિગત બહાર આવી હતી. એક મિત્રે કહેલો કિસ્સો યાદ આવે છે. તેમની એક કઝિન ડિપ્રેશનમાં હતી. રોજ સવાર પડે ને તેને ડર લાગે કે દિવસ કેમ જશે! કશું જ કરવામાં તેને રસ ન પડે. પરાણેપરાણે રોજિંદાં કામ કરે અને કોઇની સાથે બોલે જ નહીં. પૂછે એનો જવાબ પણ હાકે નામાં હોય અને એય મોઢું હલાવીને આપે. એટલે ઘરના લોકોનું પણ ધીમે ધીમે એની સાથેનું ઇન્ટરએકશન લગભગ ઝીરો જેવું થઇ ગયેલું પણ મારી મિત્ર તેનું ખૂબ જ ઘ્યાન રાખતી. એ રોજ એને ફોન કરે. 

ગુડ મોર્નિંગથી શરૂઆત કરે ને તેને ચીયર અપ કરે. નાની નાની વાતો એની સાથે વહેંચે, નાનાં-મોટાં કામ સોંપે ને પછી તે કામની ઉઘરાણી પણ કરે. પેલી કઝિન કયારેક એને કહેતી કે જોને મારા જેવી વ્યક્તિની કોઇને જરૂર ન હોય. ઊલટું બધાને હું તો તકલીફરૂપ બનું છું. ત્યારે મિત્ર એને કહે કે મને તારી ખૂબ જ જરૂર છે. જો મારી આ બધી વાતો શેર કરવા માટે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો એન્ડ આઇ નીડ યુ સો... મચ. અને કોઇ પણ વાતે તેને હસાવીને જ ફોન મૂકે.

થોડા મહિના પછી એ કઝિન ડિપ્રેશનમાંથી બહાર આવી ગઇ અને એકદમ સાજી થઇ ગઇ ત્યારે ડોક્ટરે પણ સ્વીકાર્યું કે આ માત્ર મારી સારવારનું પરિણામ નથી, દરદીનો પોઝિટિવ એટિટયુડ આ સફળતા માટે બરાબરનો હિસ્સેદાર છે. મારી મિત્રને પાછળથી તે કઝિને કહ્યું હતું: ખરેખર, શ્યામા, ત્યારે મને તારા શબ્દોએ ખૂબ હિંમત બંધાવી હતી. મને થતું હતું ભલે બીજા કોઇને મારો ખપ ન હોય, પણ શ્યામાને તો મારી કેટલી જરૂર છે! 

અને એ વિચારે મને ખોટા વિચાર કરતાં અટકાવી હતી. શરૂઆતમાં તારો ફોન આવે તો મને થતું મારી ચૂપકીદીથી તું પણ કંટાળી જશે અને તને પણ ખોઇ બેસીશ એ વાતે હું ડરતી ને તારો ફોન ન આવે એમ ઇરછતી, પણ પછી તો તારા ફોનની પ્રતીક્ષા કરતી. તારો અવાજ સાંભળું ને મારી ભીતરનું ઠરી ગયેલું - થીજી ગયેલું બધું જાણે આળસ મરડી ઊભું થવા સળવળી ઊઠતું.

લાગણી એ કેટલી અમૂલ્ય સંપત્તિ છે તેનો ખ્યાલ એનાથી જ્યારે દૂર થવાય છે ત્યારે જ આવે છે. રૂપિયા - પૈસા ને જર - ઝવેરાત કે પ્રોપર્ટી ને શેરબજારની મૂડીનું આપણને કેટલું મહત્વ છે! એની સલામતી માટે સેફ ડિપોઝિટ વોલ્ટ ને તાળાંબંધ તિજોરીઓની જોગવાઇ કરવામાં આપણે કેવા ચોક્કસ છીએ! અરે, મૂડીરોકાણ કેમ ઊગી નીકળે, કેમ કૂદકે ને ભૂસકે એમાં વૃદ્ધિ થાય તેમાંય કેવા માહેર છીએ! અખબારોનાં પાનાં ને ટી. વી.ની બિઝનેસ-ચેનલોના એન્કરો સતત આપણા એ મૂડીરોકાણની ચિંતા કરે છે. મૂડીનું રોકાણ કયાં કરવું ને કયાં નહીં તેની ટીપ્સ આપતા રહે છે. આ બધું જોતાં થાય છે આ લાગણી-ઇમોશન્સની મૂડીની પણ આવી ખેવના કરવી જરૂરી છે. 

ખોટી વ્યક્તિ કે ખોટા સંબંધમાં કરેલું લાગણીનું રોકાણ ખોટના ધંધા જેટલું જ પીડાદાયક થઇ શકે. તો સાચા માણસ કે સમજણસમૃદ્ધ સંબંધમાં કરેલું લાગણીનું રોકાણ આત્મવિશ્વાસની બેલેન્સને તગડી બનાવે. આફત કે આપત્તિસર્જિત કટોકટીમાં ટકી રહેવાનું બળ પૂરે છે. ટૂંકમાં જિંદગીના છોડનું જતન કરે છે લાગણીની મૂડી. તોય આપણે એની બેલેન્સ માટે કેમ એટલા સચિંત નથી?

જિંદગીના અત્યંત સુંદર અને ગમતીલા તબક્કામાં જ આપણી આ અતિ મૂલ્યવાન મૂડીનું તળિયું દેખાઇ જાય અને જિંદગીને છોડી દેવાની નોબત સુધી પહોંચાડી દે તે કેવી વિષમતા? વળી પ્રેમ અને લાગણીની આ સંપત્તિ તો આપણને બધાને મળેલી છે. સવાલ એનો સમયસર ઉપયોગ કરવાનો છે, પેલી ઠંડી લહેર પોતાનાં અસ્તિત્વને સાર્થક કરે છે ને તેમ જ!

Visit my blog.......   rkdangar.blogspot.com

Friday, September 24, 2010

બેટરી ચાર્જ, ટેન્શન ડિસ્ચાર્જ

આપણી કહેવતો જણાવે છે કે ફરે તે ચરે અને જીવ્યા કરતાં જોયું ભલું, પણ બીજી તરફ એવી જ એક કહેવત છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા મતલબ કે ક્યાંય ન જાવ તો પણ આનંદ તમારા આંગણામાં જ છે. આ બધી વિરોધાભાસી બાબતોમાંથી તારણ શું કાઢવું? રજા માણવાની શ્રેષ્ઠ રીત કઈ? પ્રવાસમાંથી મહત્તમ આનંદ કઈ રીતે લૂંટી શકાય? આવો, જાણો.- શુભકામના પ્રસાદ ખાન

કામ, કુટુંબ અને સામાજિક જવાબદારીઓ સિવાય રજા એ ફુરસદની એક એવી પ્રવૃત્તિ છે, જે વ્યક્તિ એકવિધતાને તોડવા, આરામ અને મનોરંજન માટે પોતાની ઇચ્છાથી કરે છે.- જોફ્રે દિમાજદિયર, સમાજશાસ્ત્રી

તમારે વર્ષના ૩૬૫ દિવસ કામ કર્યા કરવું પડે અને એક દિવસ અચાનક કહેવામાં આવે કે તમને એક વર્ષની રજા આપવામાં આવે છે, તો તમે શું કરશો? આનંદથી પાગલ થઇ જશો? કે કામ વિના કરવું શું એના વિચારમાં ઉદાસ થઈ જશો? સમાજશાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાનીઓ આને જિંદગીના સંતુલનનો તુંડે તુંડે પ્રભાવ ભિન્નાગણાવે છે. દરેક થાકેલા માણસને પોતાની ઊર્જા મેળવવા આરામ તો જોઈએ જ, પણ કોને કેવી રીતે આરામ મળે એનો આધાર તો જે તે વ્યક્તિના સ્વભાવ અને મૂડ પર હોય છે.

પ્રવાસ તમને કામ અને આરામ બન્નેનો આનંદ આપીને શક્તિ પૂરી પાડે છે, કારણ કે જૂદી સંસ્કૃતિના સંપર્કમાં આવવાથી તમને નવિનતાનો અનુભવ થાય છે અને તમારી વિસ્મયવૃત્તિને પોષણ મળે છે. રોમાંચ અને રાહત આનંદના બે છેડા છે, પણ રોજબરોજની જિંદગીમાં મોટા ભાગના લોકો આ બન્નેને ઊંડાણથી અનુભવી નથી શકતા, નહીંતર રજાની જરૂર જ ન પડતી હોત. કેવી રીતે, ચાલો એ જોઇએ-

રવિ રાવલ મુંબઇના મિડીયા ગ્રુપમાં કાર્યરત છે. આખું અઠવાડિયું ઓફિસમાં મોડે સુધી કામ કર્યા બાદ તેઓ પંદર દિવસમાં એક વખત પોતાના કુટુંબ સાથે વીક એંડ(શનિ-રવિવાર) માણવા માટે મુંબઇની આસપાસ ફરવા ચાલ્યા જાય છે. બે દિવસનો આ નાનકડો બ્રેક તેમને ફ્રેશ બનાવી દે છે. ફરી પાછા ડ્યુટી ઉપર આવે છે ત્યારે વધુ સારી રીતે કોન્સન્ટ્રેશન કરી શકે છે. રાહુલ રાજડા રેલવેમાં એક ઊરચ હોદ્દા ઉપર છે. કામના કલાકો અનિશ્વિત હોવાથી ચોવીસ કલાકની નોકરી.

રાહુલ પંદર દિવસે અથવા વધુમાં વધુ એક મહિના પછી ક્યાંક ન જતાં ત્રણ દિવસની રજા લઇ ઘરે જ આરામ કરવાનું પસંદ કરે છે. અભિષેક આચાર્ય એક મલ્ટીનેશનલ બેંકમાં નોકરી કરે છે. મહેનતુ છે અને ઘડિયાળના કાંટા સામે નથી જોતા. તેઓ પંદર દિવસમાં ઓછામાં ઓછા એક વખત તો બિઝનેસ ટ્રીપનું પ્લાનિંગ કરી બીજા કોઇ શહેર ચાલ્યા જાય છે. તેમના માટે આ કામની સાથે તાજગી મેળવવાની એક પ્રવૃત્તિ સાબિત થાય છે.

કલ્પના કરો કે એક છે મિસ્ટર એક્સ, બીજા વાય અને ત્રીજા ઝેડ. પંદર દિવસના કામ પછી ત્રણેને ત્રણ દિવસની રજા મંજૂર કરવામાં આવી છે. મિસ્ટર એક્સ વિચાર કરે છે કે પંદર દિવસના કામ પહેલાં ત્રણ દિવસની રજા મળે તો બાકીના પંદર દિવસ સારા જાય. વાય સાહેબ વિચાર કરે છે કે આ ત્રણ દિવસ જો હમણાં ન મળે અને સતત ત્રીસ દિવસનું કામ કરાવ્યા બાદ એક સાથે છ દિવસની રજા મંજૂર થાય તો મજા પડી જાય. મિસ્ટર ઝેડ વિચારે છે કે આ ત્રણ દિવસનો શો અર્થ છે, જ્યારે પાછા આવ્યા બાદ ફરી પંદર દિવસ કામમાં જ જોતરાઈ જવાનું છે.

આ ત્રણે વ્યક્તિઓથી જુદા પડે છે શ્રીમાન અ. તેમને પંદર દિવસના કામમાં એટલી જ મજા પડે છે, જેટલી ત્રણ દિવસની રજાઓમાં. રજાઓમાં પણ તેઓ ઘરના વાતાવરણને એટલું મનોરંજક બનાવી દે છે, જેટલું ઓફિસના કામને. હકીકતમાં તેમના માટે ઘર અને ઓફિસ બન્નો શક્તિ આપનારાં સ્થળો છે. રજાઓ જો મળે તો પણ સારું અન્યથા મોડી રાત સુધી નવલકથા વાંચવી તેમને એટલો જ આનંદ આપે છે, જેટલો રજાના દિવસે ફિલ્મ જોવાનો કાર્યક્રમ. તેમને મન દૂરનો દેશ કે ગલીનું નાકું, બન્નો સરખા છે.

તમે વિચારી શકો છો કે રજાની ખરી મજા કોણ માણી રહ્યું છે. ટેન્શન અને સ્ટ્રેસ સાથે લડવાનું મૂળ તત્વ આપણી અંદરથી આવે છે. મુસાફરી ફુરસદ અને ઊર્જાનો મેળ કરાવીને તમને ત્યારે જ શક્તિશાળી બનાવી શકે છે, જ્યારે તમે જિંદગીને નકામો બોજો ન માનતા હોવ. જીવનમાં તાણ, કંટાળો, અફસોસ અને થાક એવી અવસ્થાઓ છે, જે વ્યક્તિની કામ કરવાની ગતિ અને ક્ષમતાને ધીમી કરી દઇને જીવનને નીરસ બનાવી શકે છે. મનોવિજ્ઞાન કહે છે કે થોડી ફુરસદ અથવા રજા માણસના મગજને સ્થિર અને શરીરનાં અવયવોને શાંત બનાવી તેને નવી શક્તિ આપે છે.

સતત અને અત્યંત તણાવની માણસના જીવન ઉપર નકારાત્મક અસર પડે છે. તેનાથી બ્લડપ્રેશર, થાક, અફસોસ, આશંકા જેવી તકલીફોનો સામનો કરવો પડે છે. સાથે સાથે મનુષ્યમાં કંટાળાની એક એવી ભાવના પેદા થાય છે, જેનાથી તે દૂર રહેવા માગે છે, તેમ છતાં તે મગજમાં ઘૂસી જ જાય છે. આ એક એવી માનસિક સ્થિતિ છે, જેમાં વ્યક્તિ શારીરિક રીતે પૂર્ણપણે સ્વસ્થ હોવા છતાં મગજ વડે અનુભવી શકાતી ઉત્તેજના (હકારાત્મક અથવા નકારાત્મક) અને બહારના પ્રોત્સાહનની ખામી અનુભવ્યા કરે છે.

આ થાક નહિ, પણ એક પ્રકારની બેચેની છે. સતત એક જ પ્રકારની દિનચર્યા અથવા કાર્યપ્રણાલીને લીધે માણસ કંટાળી જાય છે. વિજ્ઞાન અનુસાર લાંબા સમય સુધી મગજને જ્યારે એક જ પ્રકારનો ઇનપુટ મળતો હોય છે ત્યારે તેના પ્રત્યેની તેની ટીકાત્મક પ્રતિક્રિયા ઓછી થતી જાય છે અને તે બોર થવા લાગે છે. દાખલા તરીકે તમે એક જ વસ્તુ વારંવાર જોયા કરશો, તમે તેના પ્રત્યેની રુચિ ગુમાવી દેશો, કારણ કે આ એક જ વાતનું પુનરાવર્તન થયા કરે ત્યારે એમાં તમારા તરફથી કેવી પ્રતિક્રિયા આવશે એની તમને પહેલેથી જ ખબર હોય છે.

રજા માણસને આ બધી નકારાત્મક લાગણીઓ પર કાબૂ મેળવીને રિલેકસ થવાનો મોકો આપે છે. જો કે, રજા અને પ્રવાસનું આયોજન કરતી વખતે પાકો નિશ્ચય કરી લો કે એ સમયગાળામાં તમે તમારાં કામ, બીજાં ટેન્શન અને સ્ટ્રેસને નજીક પણ નહીં ફરકવા દો. કારણ કે રજાની ખરી મજા અને આનંદ તો ત્યારે જ મળે છે, જ્યારે શરીરની સાથેસાથે માનસિક સ્તરે પણ રજા હોય. લોકો ઘણા કારણોસર પ્રવાસ કરી શકે છે, જેમ કે આનંદ, પુણ્યપ્રાપ્તિ, ઇતિહાસનો પરિચય મેળવવા, અઘ્યયન અથવા વ્યાપાર માટે.

આ એ કારણો છે, જેના લીધે આજે મુસાફરી અને પર્યટન પોતે જ ધંધાનો એક ભાગ બની ગયાં છે. ઇતિહાસમાં નજર નાખશો તો જાણવા મળશે કે આ સદીના બીજા કે ત્રીજા દશકા દરમિયાન ફ્રાંસની પ્રજા પોતાના જ્ઞાન અને વ્યવહારુ અનુભવ વધારવા માટે મુસાફરી કરતા હતા. તે જમાનામાં એ જરૂરી માનવામાં આવતું હતું. આ પ્રવાસીઓ ટુરિસ્ટ કહેવાતા હતા. સમય જતા ધીરે ધીરે આ શબ્દનો પ્રયોગ દરેક પ્રવાસી માટે થવા લાગ્યો, પછી ભલે તેના પ્રવાસનો હેતુ કંઇ પણ હોય.

પ્રવાસ વિશેષજ્ઞ અને લેખક જહોન પ્રોહાસ્કા માને છે કે પ્રવાસ એ તો માણસના લોહીમાં વણાયેલી વૃત્તિ છે. પ્રકૃતિના નિયમની થોડી પણ જેને જાણકારી છે, તે જાણે છે કે મનુષ્ય જન્મથી જ પ્રસાર-પ્રચાર માટે અથવા ભાગી છૂટવા માટે બહાર ફરવા પ્રેરાય છે. પ્રવાસના એક બીજા પાસાને પ્રકાશમાં લાવતા જોન કહે છે કે પ્રવાસનો આ નશો આજકાલ કાયદાથી ભાગી જવાની ઇચ્છા પણ બની ગયો છે. તાજેતરનો જ એક અભ્યાસ બતાવે છે કે આજકાલ ૨૫ ટકા પ્રવાસીઓ કાયદાથી બચવા માટે એક શહેરથી બીજા શહેર અને કદાચ દેશવિદેશનો પ્રવાસ કર્યા કરે છે.

આ લોકો કંઇ કામ નથી કરતા, એક જગ્યાએ લાંબા સમય માટે નથી ટકતા અને વિચિત્ર વેશભૂષામાં દુનિયાભરમાં ભટકે છે. નોર્વેમાં એક પૂરા સમુદાયએ સદીઓજૂની આ પ્રથા અપનાવી છે. આ સમુદાયનો લેપલેન્ડર્સ અથવા તો કોઇ કોઇ વખત ફિન્સના નામે ઓળખવામાં આવે છે. પ્રોહાસ્કા કહે છે કે સાચે જ લોકો આનંદ, રોમાંચ, શિક્ષણ અને વેપાર માટે પ્રવાસ કરે છે પરંતુ વાસ્તવમાં આવા પ્રવાસીઓનું પ્રમાણ જૂજ છે. તેમની ધારણા પ્રમાણે આજના યુગમાં ૬૦ ટકા પ્રવાસ પ્રચાર માટે થતો હોય છે. ૨૫ ટકા પ્રવાસ ભાગેડુ લોકો કરતા હોય છે અને વેપાર, આનંદ વગેરે માટેના પ્રવાસીઓનો હિસ્સો ૧૦ ટકા હોય છે.

બાકીનો ૫ ટકા ભાગ અન્ય પ્રવાસો માટે હોય છે. આજે એવા ઘણા દેશો છે, જેની આવકનો મોટો હિસ્સો ટુરિસ્ટો દ્વારા મળતો હોય છે. આંતરરાષ્ટ્રીય પર્યટન સંગઠનના આંકડા અનુસાર દર વર્ષે ૬૫ કરોડથી પણ વધુ ટુરિસ્ટ દુનિયાના જુદા-જુદા ભાગોનો પ્રવાસ કરે છે, જેના કારણે પર્યટન વ્યવસાયને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં લગભગ ૪પ૦ અબજ ડોલરનું યોગદાન છે. અમેરિકાની ઓહાયો યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી લી બ્રાયન કહે છે કે આજે પ્રવાસ કેવળ ફરવા અથવા મોજ-મસ્તી માટે નથી કરવામાં આવતો. આજે મોટા ભાગના પ્રવાસીઓ પોતાના કોઈ ચોક્કસ લાભ માટે પ્રવાસ કરે છે.

બ્રાયનના મતાનુસાર એક રજા માણસને શારીરિક અને માનસિક બન્નો સ્તરે તાજગી બક્ષીને જીવનને આગળ ધપાવવા માટે જરૂરી ઊર્જા અને શક્તિ આપે છે. એક અઠવાડિયાની રજા માણસને તરુણ બનાવી જીવનની મુખ્ય ધારામાં ફરી નવા જોમ અને ઊર્જા સાથે પરત આવવામાં મોટી ભૂમિકા ભજવે છે. કહેવાય છે કે હાસ્યકલાકાર ચાર્લી ચેપ્લિન પોતાની ફિલ્મોમાં નવા આઇડિયા ઉમેરવા માટે, જરૂરિયાત પડે ત્યારે રજા ઉપર ચાલ્યા જતા હતા. આજકાલ રજાઓ માર્કેટ અને વેપારને પણ એટલી જ પ્રિય છે.

પ્રશ્નોના જવાબ આપો અને ૩ દિવસ અને ૨ રાત કુટુંબ સાથે મજા માણો, તદ્દન મફત. મોટા ભાગની કંપનીઓ આ પ્રકારની જાહેરખબરો કરી લોકોને લોભાવે છે. આજના દિવસોમાં મોટા ભાગની કંપનીઓ ફુરસદ અને પ્રવાસને બિઝનેસ પ્રમોશન અને ગ્રાહકવૃદ્ધિ જાળવી રાખવા માટેનું સાધન માને છે. પ્રોડકશન પ્રત્યે સજાગતા વધારવા માટે અને કર્મચારીઓની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ કરવા માટે આને એક શક્તિશાળી માર્ગ સમજે છે.

એક અમેરિકન સર્વેક્ષણ મુજબ જે કંપનીઓએ રજાનો માર્કેટિંગ તથા પ્રચાર માટે ઇનામ તરીકે ઉપયોગ કર્યો હતો, તેમને વેચાણમાં ૩૦ ટકાની વૃદ્ધિ પ્રાપ્ત થઇ હતી. હાલમાં જ યુએસએ ટુડેએ કરેલા એક સર્વે મુજબ ૯૩ ટકા પ્રતિયોગીઓએ ઇનામના રૂપમાં રોકડાને બદલે રજાની મજા માણવાનું પસંદ કર્યું હતું. ઇન્સેન્ટિવ ફેડરેશનના મુખ્ય અધિકારી પોર્ટરફિલ્ડ કહે છે કે, આવું એટલા માટે છે કે એક રજા વ્યક્તિને આરામ અને આનંદથી ભરપુર એવો અનુભવ આપે છે.

આ બીજા કોઇ પ્રકારના પ્રોત્સાહન કરતાં વધુ લાંબા સમય સુધી યાદ રહે છે. અમેરિકાના વર્થલીન વર્લ્ડ વાઇડ રિસર્ચના એક સર્વે હેઠળ કર્મચારીઓને તેમને અપાતા પુરસ્કારમાંથી કોઇ એક પર્યાયને પસંદ કરવાનું કહેવામાં આવ્યું. પરિણામે ૮૮ ટકા પ્રતિયોગીઓએ રજા ઉપર જ પસંદગી ઉતારી.

પરિણામ સ્પષ્ટ છે. તમે દુનિયાના કોઇ પણ ભાગને તમારી મંજિલ બનાવી શકો છો. તમારી રજા ઘરની બાલ્કનીથી લઇ લૉસ એંજલ્સની સડકો સુધી ગમે ત્યાં મનાવી શકો છો. ઘ્યાન ફકત એટલું જ રાખવાનું કે રજાઓ ખરેખર તમારા ટેન્શને રજા આપનારી બની રહેવી જોઈએ.

રજાનું મનોવિજ્ઞાન

સામાન્ય રીતે જોઇએ તો રજા એટલે બિઝી હોવામાંથી મુક્તિ. વર્તમાન સમયમાં વ્યક્તિ સ્વયંને પુન: શોધવા, તણાવ અને વ્યસ્તતાથી દૂર જવા અને ફુરસદ મેળવવા માટે રજા ઝંખે છે. રજાઓના સમયમાં વ્યક્તિનું સ્થળ, હવામાન, લોકો અને સંપૂર્ણ વાતાવરણ બદલાઇ જાય છે. આ બધું મળીને તેનામાં શારીરિક અને માનસિક સ્તર પર એક એવું પરિવર્તન લાવે છે, જેમાં તે તેના જીવનની બધી વ્યસ્તતાઓથી દૂર થઇને એક તાજગીભર્યોશ્વાસ લે છે અને એક નવી ઊર્જા સાથે જીવનની મુખ્ય પ્રવાહમાં ફરી ભળે છે.

થાક વિરુદ્ધ આરામ

જ્ઞાનીઓના મત પ્રમાણે સતત શારીરિક પ્રવૃત્તિઓને કારણે સાંધામાં લેકટીક એસિડ ઉત્પન્ન થાય છે. શરીરમાં જ્યારે તેની માત્રા ખૂબ વધી જાય છે ત્યારે માણસ થાક અનુભવવા લાગે છે. યુનિવર્સિટી ઓફ પોર્ટ્સમાઉથની વિજ્ઞાની ડો. પાઉલા રોબસન ઐન્સલેના અનુસાર ઇંટરલ્યૂકિન-૬ નામનો સાંકેતિક અણુ મગજને ધીમે ચાલવાનો સંકેત મોકલે છે. તેનો અર્થ થાય છે, હવે શરીરની માંસપેશીઓથી વધુ કામ નહિ લઇ શકાય. લાંબા સમય સુધીની શારીરિક પ્રવૃત્તિઓ બાદ લોહીમાં ઇંટરલ્યૂકિન-૬નું સ્તર સામાન્યથી ૬૦થી ૧૦૦ ગણું વધી જાય છે ત્યારે માણસને આરામની જરૂર પડે છે અને તે ઊંઘ સિવાય શરીરની બીજી ક્રિયાઓ ઓછી કરીને તે પોતાના શરીરને ફરી કામે લગાડવા તૈયાર કરે છે. તેથી જ માણસ માટે ફુરસદ અને આરામ જરૂરી છે.

માણસની આ જરૂરિયાત માટે વિશ્વઆખાના દેશોની સરકારોએ શ્રમજીવી સ્ત્રી-પુરુષો માટે શ્રમ કાયદાઓ (લેબર લોઝ) હેઠળ રજાના નિયમો નિશ્વિત કર્યા છે. અસંખ્ય ખાનગી કંપનીઓ અને સરકારી ઉપક્રમો તો કર્મચારીને રજા ઉપર જવા માટે વર્ષમાં એક વખત પ્રવાસ ભથ્યું (લીવ ટ્રાવેલ બેનિફિટ) પણ આપે છે.

Thursday, September 23, 2010

Jivan Me Kamyabi Kaam Karne Walo Ko Milti Hai Na Ki SHortcut Walo Ko

મહેનતથી બચવા માટેના ટૂંકા રસ્તા ઘણી વાર મુશ્કેલી ભણી દોરી જતા હોય છે.
જંગલમાં ઝાડ પર બેઠીબેઠી બુલબુલ પોતાની મસ્તીમાં કંઇ ગણગણી રહી હતી. એ જ વખતે નીચેથી પસાર થઇ રહેલા ખેડૂત પર એની નજર પડી. ખેડૂતના હાથમાં લાકડાનું એક નાનું ખોખું હતું, જેને એ ભારે સંભાળથી લઇ જઇ રહ્યો હતો. બુલબુલે એને પૂછ્યું, ‘આ ડબામાં એવું તે શું છે અને એને તું કયાં લઇ જઇ રહ્યો છે?’ ખેડૂતે કહ્યું, ‘આમાં કીડા-મકોડા છે. હું એ વેચી નાખીશ અને બદલામાં થોડાં પીછાં લઇ આવીશ.

મારી પાસે ઘણા પીછાં છે. તું એક કામ કર. આ કીડા-મકોડા મને આપી દે અને બદલામાં મારી પાસેથી પીછાં લઇ લે. તારું કામ પણ થઇ જશે અને મારે પણ કીડા શોધવા નહીં જવું પડે.બુલબુલની વાત ખેડૂતને સમજાઇ ગઇ અને એ તૈયાર થઇ ગયો. એણે કીડા-મકોડા બુલબુલને આપી દીધા અને બદલામાં એનાં થોડાં પીછાં લઇને જતો રહ્યો. બીજે દિવસે ખેડૂત પાછો આવ્યો અને એમ જ કર્યું. 

ત્રીજો દિવસ... ચોથો... પાંચમો... સિલસિલો ચાલુ રહ્યો. છેવટે એક દિવસ એવો આવ્યો કે બુલબુલના શરીર પર એકેય પીછું ન રહ્યું. એ હવે કીડા-મકોડાના શિકાર માટે ઊડી શકે એવી સ્થિતિમાં પણ નહોતી. એ બદસૂરત દેખાતી હતી, એણે ગાવાનું પણ બંધ કરી દીધું હતું. બહુ જલદી એનો જીવ જતો રહ્યો. બુલબુલ જેને ભોજન મેળવવાનો સહેલો રસ્તો સમજી બેઠી હતી, એણે હકીકતમાં એનો જ જીવ લીધો

Wednesday, September 22, 2010

સંપ ત્યાં JUMP (KAYAM CHURAN NU SUCCESS) MUST BE READ

SHETH BROTHER’S  KAYAM CHURAN



ભાવનગરની ગલીઓમાં એક સમયે ખભે કોથળો નાખીને કાગળની પસ્તી વીણતો, રેગ-પીકર છોકરો આજે માત્ર દેશ જ નહીં, દુનિયાભરમાં ભાવનગરનું નામ રોશન કરી ચૂક્યો છે. તેની બ્રાન્ડ આખી દુનિયામાં વેચાય છે અને કરોડોની બ્રાન્ડવેલ્યુ ધરાવે છે. સફળતાનો પર્યાય બની ચૂકેલી આ વ્યક્તિનું નામ છે, અશોકભાઇ શેઠ. કદાચ, નામ કરતાં તેમની બ્રાન્ડને તમે જલદી ઓળખી જશો. એ છે, કાયમ ચૂર્ણ! ભાવનગરવાળા શેઠ બ્રધર્સનું કાયમ ચૂર્ણ દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં તો વેચાય જ છે પણ જર્મની હોય કે જાપાન, સવારને સફળ બનાવવા માટે તેનો ભરપેટ ઉપયોગ થાય છે. 

પીપરમિન્ટના કારખાનામાં ગોળીઓ બનાવવાનું, રાખડીઓ વેચવાનું, ઘડિયાળના પટ્ટા વેચવાનું, વજનકાંટા વેચવાનું વગેરે કામ કરી ચૂકેલા અશોકભાઇએ દુનિયાભરમાં નામના કાઢનાર ગ્લોબલ બ્રાન્ડ કઇ રીતે વિકસાવી અને જવલંત સફળતા કઇ રીતે મેળવી તથા તેમાં આધુનિક મેનેજમેન્ટના કયા ફંડાનો સફળતાપૂર્વક ઉપયોગ જાણ્યેઅજાણ્યે કર્યો તે મેનેજમેન્ટના અભ્યાસુની દ્રષ્ટિથી જોઇએ.

અશોકભાઇને ત્રણ અટક છે. તેમની પરદાદા કરસનદાસની મૂળ અટક મહેતા હતી. પોતે રાજવૈધ એટલે ભાવનગરના રાજવીએ તેમને ઇલ્કાબ આપ્યો નગરશેઠનો. એટલે અટક પડી શેઠ. વળી, વૈદકની સાથે ધંધો કરે ગાંધિયાણા-કરિયાણાનો એટલે કહેવાયા ગાંધી. અશોકભાઇના દાદાનું નામ લખાતું ગાંધી ભૂદરભાઇ કરસનદાસ શેઠ. બંને બાજુ અટક ધરાવતું આ નામ અત્યારે થોડું વિચિત્ર લાગે. ભૂદરભાઇની શાખ સારી અને પાંચમાં પુછાય એવા માણસ. 

તેમના પુત્ર અને અશોકભાઇના પિતા કાન્તિભાઇ શેઠનું માત્ર ૩૬ વર્ષની ઉમરે અવસાન થયું ત્યારે ચાર પુત્ર અને ચાર પુત્રીઓ સાવ નાની વયનાં હતાં. સંબંધીઓ મિલકત ખાઇ ગયા. એટલું જ નહીં, દેવું થઇ ગયું. અશોકભાઇના મોટાભાઇ રસિકભાઇ પર માતા અને ભાંડરડાંની જવાબદારી આવી પડી. પિતાના અવસાનના આઘાતમાં માતા માનસિક રીતે અસ્થિર થઇ ગયાં, તે છેક સુધી સાજાં ન થયાં. રસિકભાઇ વૈદું જાણે પણ વૈદ તરીકે ધંધો કેટલો ચાલે? કિશોર વયના અન્ય ભાઇઓ કિસનભાઇ, અશોકભાઇ અને કિરીટભાઇ જે મળે તે કામ કરીને બે પૈસા કમાય. ઘરમાં હાંડલાં કૂસ્તી કરે. 

અશોકભાઇ આ સ્થિતિને યાદ કરતાં કહે છે, એવો સમય હતો, જ્યારે ચારેય ભાઇ એક સાડલે ડીલ લૂછતા. ઘરમાં પાંચ કિલો અનાજ આવી ગયું હોય તો જાણે જાહોજલાલી આવી હોય એવું લાગે. અઠવાડિયા સુધી જમવાનું મળશે એ ખાતરી થવાથી રસિકભાઇએ વૈદકનું જ્ઞાન ભાઇઓને પણ આપ્યું. અશોકભાઇ માત્ર દસ વર્ષની ઉમરે આયુર્વેદના જાણકાર થઇ ગયા. આંબા ચોકમાં એક ખોબા જેવડી દુકાનમાં એરંડિયું, બાળાગોળી વગેરે વેચવાનો અનુભવ બધા ભાઇઓએ લીધો. અશોકભાઇને કમાવાની ધગશ ભારે. તેઓ કહે છે, ‘ત્યારે પણ મને નવા નવા ધંધા કરવાના આઇડિયા બહુ આવતા. કમાવા માટે જાતજાતનાં કામ કર્યા. અગરબત્તી બનાવતા પણ શીખ્યો અને કુજલભાઇની નમન ફેકટરીમાં પીપરમિન્ટ બનાવવાનું કામ પણ કરતો. 

કોઇ કામને મેં નાનું ગણ્યું નથી. સાંજે કાગળ પણ વીણતો. એક કોથળો ભરાય તો ત્યારે ત્રણ રૂપિયા પસ્તીના મળતા. મારે આ ગરીબીમાંથી ગમે તેમ કરીને બહાર નીકળવું હતું. મુંબઇમાં પૈસા કમાઇ શકાય એવી માન્યતા હતી એટલે મુંબઇ ગયો. ઝંડુમાં નોકરી મળી.સામાન્ય રીતે આપણે સફળતાને વરેલા ઉધોગ સાહસિકોની વાતોમાં એવું સાંભળતા હોઇએ છીએ કે, મુંબઇમાં ગયા, મહેનત કરી એટલે ભાગ્ય આડેનું પાંદડું ખસી ગયું, પછી ખાધું પીધું ને રાજ કીધું. અશોકભાઇની સ્ટોરીમાં આવું વાંચવાની અપેક્ષા રાખતા હો તો સોરી, મુંબઇ જતાંવેંત તેમને ત્યાંનું પાણી ફાવ્યું નહીં અને, બીમાર પડીને પાછા ફરવું પડ્યું.

થોડો સમય ભાવનગરમાં છૂટક કામ કર્યા પછી ફરીથી મુંબઇ જવાનું ભૂત ચડ્યું અને ચરક ફાર્મસીમાં નોકરીએ લાગ્યા. ગોળીઓ બનાવવાનું તો તેઓ કુજલભાઇની ફેકટરીમાં શીખી જ ગયા હતા એ કૌશલ્ય કામ લાગ્યું. પરંતુ, કમળો થયો એટલે ફરી ભાવનગર આવ્યા. રસિકભાઇની સાથે મળીને જે બાળાગોળી બનાવતા તે અને અન્ય ઓસડિયાં લઇને અશોકભાઇ મિત્ર શબ્બીર પીલાણી સાથે ભાડાની સાઇકલ પર ૭૦-૮૦ કિલોમીટર દૂરનાં ગામડાં સુધી ફરતા. 

કિશોર વયના અશોકભાઇ હાફ પેન્ટ પહેરતા પણ, ગળે ટાઇ તો હોય જ. રસિકભાઇના પુત્ર દેવેન્દ્રભાઇ કહે છે, ‘જીકાકા (અશોકભાઇનું ઘરમાં લેવાતું નામ) પાસે ભલે બે જ જોડી કપડાં હોય છતાં, તેને ધોઇ, ઇસ્ત્રી કરીને જ પહેરીને જતાં. અપ-ટુ-ડેટ રહેવાનું કોઇ તેમની પાસેથી શીખે.અહીં સુધીના સંઘર્ષમાં કેટલા મેનેજમેન્ટ ફંડાનો ઉપયોગ સાવ અજાણ્યે થયો તે જાણીએ :

૧. કોઇ કામને નાનું ન ગણવું, દરેક કામનું પોતાનું મહત્ત્વ હોય છે.
ર. સફળ થવાની ધગશને ક્યારેય ઠરવા દેવી નહીં.
૩. ધંધાની બેઝિક બાબતોમાં કૌશલ્ય અને અનુભવ હંમેશાં સફળતાને દોરી લાવે છે.
૪. શરૂઆતની નિષ્ફળતાથી ડરી જવાને બદલે અગાઉની ભૂલોમાંથી પર્દાથપાઠ લઇને ફરી કામ હાથ ધરવું.

અશોકભાઈ જ્યારે મુંબઈથી પરત ભાવનગર આવ્યા ત્યારે ઉપાધિઓ રાહ જોઈને તૈયાર બેઠેલી. મોટાભાઈ રસિકભાઈ અને કિસનભાઈ બંનેને ટીબી થયેલો. રસિકભાઈ સર્વોદય હોસ્પિટલમાં અને કિસનભાઈ જિંથરી હોસ્પિટલમાં સારવાર લેતા હતા. ત્રણ ટકાના વ્યાજે પૈસા લઈને ઘર ચલાવવાનો વખત હતો. રાત-દિવસ મહેનતમજૂરી કર્યા પછી જે નાણાં મળે તેમાંનાં મોટાભાગનાં વ્યાજમાં વપરાઈ જતાં હતાં. ગાંધીયાણાની દુકાનમાં આવક બહુ સામાન્ય હતી.

અશોકભાઈ જ્યારે મુંબઈ હતા ત્યારે પ્રિન્સેસ સ્ટ્રીટમાંના એક અત્તરવાલા ડાન્સર હેલનના ઓળખીતા હતા. તેમણે કહ્યું કે, નૃત્ય કરનારાની સ્ટેમિના જળવાઈ રહે અને થાક ન લાગે તે માટેનું કોઈ ઔષધ બનાવો તો બહુ ચાલે. વૈદકના જાણકાર અશોકભાઈએ ઈલેકટ્રો નામનું તેલ બનાવવાનું વિચાર્યું. તે માટેની જાહેરાતની ડિઝાઈન પણ બનાવી લીધી. ડાન્સરના ફોટાવાળી આ જાહેરાત જો કે, નકામી પડી રહી, કારણ કે, મુંબઈથી તેમણે આવતાં રહેવું પડ્યું પણ ઈલેકટ્રો નામ કામમાં આવી ગયું. 

તે સમયે હીરા ઘસવાનો ઉધોગ નવો નવો હતો. બેઠાડુ હીરાઘસુઓને પેટના રોગોમાંથી મુકિત મળે તે માટેની દવા બનાવી અને બજારમાં મૂકી. ત્યારે ગોળીઓ પણ બોટલમાં વેચાતી. એક બાટલીના ૧૨ રૂપિયા લેખે હીરાવાળાઓને આ ગોળીઓ વેચવા માટે અશોકભાઈ હીરાની ઘંટીના કારખાનાંનાં પગથિયાં ઘસતા.

વૈદકમાં આખા ગોહિલવાડમાં જેનું નામ આદરથી લેવાતું તે રસિકભાઈ તથા તેમના વૈદાં વિશે છાપામાં છપાતું રહેતું. એક પત્રકારમિત્ર વી.કે. દવે સાથે રસિકભાઈને ઘરોબો થઈ ગયેલો એટલે દવેએ એક વખત કહ્યું કે, તમારા વિશે છાપામાં તો વારંવાર છાપીએ છીએ પણ, મને બે પૈસા મળે એવું કાંઈક કરો, તમે જાહેરાત આપો. તે વખતે આર્થિક સ્થિતિ નબળી. એટલે રસિકભાઈએ જવાબ આપ્યો કે મારું માંડ પૂરું થાય છે તેમાં તમને જાહેરાત કઈ રીતે આપું? પણ, દવે માન્યા નહીં અને જાહેરાત લઈને જ ગયા. 

રસિકભાઈએ જાહેરાતનું હેડિંગ આપ્યું, ફૂલી ગયેલું પેટ ઘટાડો, કોમલા ગુટિકા વાપરો. સૌરાષ્ટ્ર સમાચારમાં આ જાહેરાત છપાઈ. જાહેરાત છપાઈ તે દિવસે દુકાન પર ચૌદ ઘરાક કોમલા ગુટિકા લેવા માટે આવ્યા. રસિકભાઈએ તો આપવા ખાતર જાહેરાત આપી હતી, કોમલા ગુટિકા નામની દવાનું અસ્તિત્વ જ નહોતું. અશોકભાઈએ આ ચૌદ ગ્રાહકનું બુકિંગ કરી લીધું અને બીજા દિવસે દવા લઈ જવાનું કહ્યું. બંને ભાઈઓએ મળીને નક્કી કર્યું કે ઈલેકટ્રો ટેબ્લેટનું નામ બદલાવી નાખવું. 

રાતોરાત કોમલા ગુટિકાનાં લેબલ છપાવ્યાં અને ઇલેકટ્રોની ડબીઓ પર લગાવી દીધા. જેમણે દવા લીધી તેમને જબ્બર ફાયદો થયો એટલે દવા ચાલવા માંડી. મુંબઈથી પણ ઈન્કવાયરી આવવા માંડી. રોજની પ૦-૬૦ બોટલ વેચાવા માંડી. અશોકભાઈ આ વાત યાદ કરતાં કહે છે, સો રૂપિયાની નોટ જોઈ નહોતી તેવામાં સમયમાં રોજના ચાર-પાંચસો રૂપિયાનો વકરો થવા માંડયો. અહીં પીપરમિન્ટ બનાવવામાં કૌશલ્ય કામમાં આવ્યું. રાતે કુજલભાઈનું પીપરમેન્ટનું કામ પૂરું થાય એટલે તે ગોળીઓ બનાવવાના હાંડા તરીકે ઓળખાતા મશીનમાં કોમલા ગુટિકાની ગોળીઓ બનાવવા માંડ્યા. 

પીપરમિન્ટના કારખાનામાં કામ કરતા રામચેતન નામના ભૈયાએ સલાહ આપી કે ગોળીઓ બનાવવા માટે હાંડાનું ભાડું આપો છો તેના કરતાં હાંડો જ બનાવડાવી લો ને. અને, શેઠ બ્રધર્સે પહેલું ઓટોમાઈઝેશન કર્યું. હાંડો બનાવડાવ્યો. કોમલા ગુટિકા તેમાં બનવા માંડી. આ હાંડાની શેઠ પરિવાર આજે પણ પૂજા કરે છે.

મેનેજમેન્ટ ફંડા

૧. નિષ્ફળતાઓ બટાલિયનમાં આવે તેની પાછળ સફળતાની બચાવટુકડી પણ આવતી જ હોય છે, ધીરજ રાખો.
૨. નવી તક હંમેશાં શોધતા રહો.
૩. માગ આધારિત ઓટોમાઈઝેશન અપનાવો, ટેક્નોલોજીને અપગ્રેડ કરતા રહો.
૪. ગ્રાહકોની જરૂરિયાતને સમજો, તે પ્રમાણે પ્રોડક્ટ બનાવો.

કોમલા ગુટિકા પછી તો ચાલી નહીં, દોડી. જાહેરાત આપનાર દવેને સામેથી બોલાવીને ફરી અન્ય છાપાં, મેગેઝિનોમાં જાહેરાત આપી. રોજના ૩૦૦ પાર્સલ ગુજરાત અને મુંબઈમાં જવા માંડયાં. અને, અશોકભાઈને ફરી મુંબઈ જવાની હોંશ ઊપડી. મુંબઈમાં પેટની સામાન્ય સમસ્યાઓ વધુ હોય એટલે મુંબઈમાં કોમલા ગુટિકા વેચીએ તો કેવું? એવો વિચાર આવ્યો અને ઊપડ્યા મુંબઈ. મુંબઈના નાના ચોકમાં બનેવીની કટપીસની દુકાન હતી. બનેવીએ કહ્યું, કટપીસની સાથે તારી દવા પણ વેચવા માંડ. 

રસિકભાઈ શેઠ એટલે હિંમતનું બીજું નામ. જોખમ ખેડતાં જરાપણ અચકાય નહીં એવી છાતી ધરાવે. એટલે, એક ગુજરાતી મેગેઝિનનું આખું છેલ્લું પાનું બુક કરાવ્યું. તે વખતે પંચોતેર હજારમાં છેલ્લા પાનાની જાહેરાત પડી. વ્યાજે નાણાં લઈને આ જાહેરાત છપાવી. લખાણ હતું, મુંબઈનું ચોમાસું અને તમારું પેટ. શુક્રવારે મેગેઝિન સ્ટોલ પર આવ્યું ત્યારે સવારથી જ અશોકભાઈ કોમલા ગુટિકા લઈને બેસી ગયા. સાંજે પાંચ વાગ્યા સુધી એક પણ ગ્રાહક આવ્યો નહીં. આ ઘટના યાદ કરતા અશોકભાઈ કહે છે, ‘મારી આંખમાં આંસુ આવી ગયાં, ફરી એકવાર નિષ્ફળ જઈશું તો? સાડા પાંચે પહેલો ઘરાક આવ્યો. એ જાડો માણસ મને આજે પણ યાદ છે. તે ત્રણ બાટલી લઈ ગયો. 

પહેલે દિવસે ૪૨ બાટલી વેચાઈ. ત્રણ દિવસમાં તો માલ ખલાસ થઈ ગયો. રસિકભાઈને ફોન લગાડયો તો તેમણે કહ્યું, વિમાનમાં ભાવનગર આવી જા, દવા તાત્કાલિક બનાવવી પડશે. ૧૯૬પની સાલમાં વિમાનનું ભાડું ૬૦ રૂપિયા હતું.ધંધા માટે અશોકભાઈ વિમાનમાં ભાવનગર આવ્યા. આજે અશોકભાઈ દર પંદર દિવસે મુંબઈ જાય છે પણ, ક્યારેય ફલાઈટમાં જતા નથી. ટ્રેન અથવા બસમાં જ જાય છે. તેમની કંપનીના કર્મચારીઓ વિમાનમાં ફરે છે. 

અશોકભાઈ કહે છે, હું તો શેઠ બ્રધર્સનો પીઆરઓ છું. નવા માણસોને મળવાનું, તેમની સાથે સંબંધ બાંધવાનું ટ્રેન અને બસમાં મુસાફરી કરીએ તો વધુ બને. અશોકભાઈ ખરેખર સંબંધોના માણસ છે. તેમને એકવાર મળેલો માણસ તેમનો મિત્ર બની જાય. મૈત્રીનો વ્યાપ પણ તેઓ વધારતા જ જાય. સંબંધ એવો રાખે કે વર્ષોપછી પણ તાજો લાગે. સુરતમાં શ્રીરામ મેડિકલમાં અશોકભાઈ પ્રથમ કોમલા ગુટિકા વેચવા ગયા હતા ત્યારથી અત્યાર સુધી તેમની સાથે ઘર જેવો સંબંધ છે. ૩૫ વર્ષ સુધી તેમણે શેઠ બ્રધર્સની પ્રોડક્ટ વેચવા માટે સતત ટુરિંગ કર્યું છે.

સૌરાષ્ટ્રના એકેએક નગરમાં તેઓ ફર્યા છે. આજે પણ ઉપલેટાની ઘાયલ લોજ કે વેરાવળ, રાજુલા, મહુવા, તળાજા, જૂનાગઢ વગેરે શહેરના જુના સમયના મેડિકલ સ્ટોર માલિકોને તેઓ પ્રેમથી યાદ કરે છે. કિસનભાઈ અને રસિકભાઈએ પણ શેઠ બ્રધર્સની પ્રોડક્ટ વેચવા માટે એટલી જ ટૂર કરી છે. મુંબઈમાં ડિમાન્ડ વધી એટલે સ્ટોકિસ્ટ નીમવાનો વિચાર કર્યો. પાંચ લાખ રૂપિયા ડિપોઝિટ લઈને સ્ટોકિસ્ટ નીમ્યો. તે પછી તો આખા મહારાષ્ટ્ર માટે ડિસ્ટ્રિબ્યુટરની પણ નિમણૂક કરી.

મેનેજમેન્ટ ફંડા

૧. પ્રોડક્ટને આવકાર મળે તે માટે યોગ્ય જાહેરાત અને માર્કેટિંગ જરૂરી છે.
૨. પ્રોડક્ટ સફળતાની સીડીનું પ્રથમ પગથિયું ચડે તે પછી તેને દોડતી કરવા માટે આક્રમક માર્કેટિંગ સ્ટ્રેટેજીને ઢીલી ન પડવા દેવી.
૩. ધંધાના વિસ્તાર માટે જોખમ ખેડીને પણ નાણાનું રોકાણ કર્યું.
૪. ડિસ્ટ્રિબ્યુટર્સ અને સ્ટોકિસ્ટ ઉત્પાદકના હાથ-પગ છે, તેમની સાથે પારિવારિક ભાવના કેળવવી.

કોમલા ગુટિકા થોડી ચાલી એટલે રસિકભાઈનો સંશોધક જીવ નવી ફોમ્ર્યુલા બનાવવા માંડયો. તેમાંથી પેદા થયા બિજોરિન ચૂર્ણ અને કાયમ ચૂર્ણ. કાયમ ચૂર્ણની ફોમ્ર્યુલા તો એટલી સફળ થઈ કે આજે પણ તેમાં કોઈ ફેરફાર આવશ્યક નથી અને કબજિયાત માટે તેના જેટલો ઉપાડ છે, અન્ય કોઈ દવાનો થતો નથી. અશોકભાઈ અને રસિકભાઈ અડધો જંગ તો તેમની ચોટડૂક ભાષા ધરાવતી જાહેરાતોને કારણે જીતી ગયા હતા. કાયમ ચૂર્ણની શરૂઆતની જાહેરાતનું સ્લોગન હતું, જેનો ઝાડો ખરાબ એનો દાડો ખરાબ. કાયમ ચૂર્ણ એવું ઔષધ છે જે બાર કલાકમાં અસર દેખાડે છે. તારક મહેતા કા ઊલટા ચશ્માં સિરિયલમાં તેમણે જે રીતે ક્રિકેટ મેચના એપિસોડમાં કાયમ ર્ચૂણની જાહેરાત કરી તે યુનિક હતી. 

અશોકભાઈ કહે છે, ‘આ એપિસોડ પછી હજારો ફોન એટેન્ડ કરવા પડ્યા છે.જગતના મોટાભાગના દેશોમાં તે જાય છે. વિદેશ જતા અનેક ગુજરાતીની બેગ તપાસો તો તેમાંથી કાયમ ચૂર્ણની ડબી નીકળશે. કાયમ ચૂર્ણ બનાવ્યાના એક જ વર્ષમાં કલ્પનાબહારનું વેચાણ થવા માંડ્યું હતું. આ ગ્રોથ આજે પણ જળવાઈ રહ્યો છે. જેમ માગ વધતી ગઈ તેમ પ્રોડકશન માટે નવાં મકાન લેતા ગયા, કારખાનું નાખ્યું, ગોળી બનાવવાના હાંડાથી શરૂ થયેલું ઓટોમાઈઝેશન આજે અત્યાધુનિક મશીનો સુધી પહોંચી ગયું છે. છતાં, ઓસડિયાંની પસંદગી હજી એ જ જૂની શાસ્ત્રોકત વિધિથી થાય છે. તેને સાફ કરવા માટે અને વીણવા માટે હજી જાણકાર બહેનોને જ કામ સોંપાય છે.

પરિવારની ૧૮પ વર્ષ જૂની વૈદકની પરંપરા અત્યારે મઘ્યાહ્ને ઝળહળી રહી છે. આજે પણ ઔષધની દરેક બેચને અશોકભાઈ અથવા તેમની નવી પેઢી તપાસ્યા પછી જ ડિસ્પેચ કરે છે. રસિકભાઈએ હકીમો, સાધુઓ, આદિવાસીઓ, સુયાણીઓ વગેરે પાસેથી વૈદકનું વિશેષ જ્ઞાન મેળવ્યું હતું. અશોકભાઈ યોગ્ય ઔષધીઓ મેળવવા માટે હિમાલયનાં જંગલોથી માંડીને જર્મની સુધી ફર્યા છે. 

વનૌષધીઓની દુર્લભ તસવીરો મેળવવા માટે મહિનાઓ સુધી રઝળપાટ કરી છે. આ રઝળપાટના પરિપાકરૂપે તેમણે હબ્ર્સ ઓફ આયુર્વેદ નામનો ચાર ભાગમાં વહેંચાયેલો ગ્રંથ અંગ્રેજીમાં લખ્યો છે, જેમાં દરેક વનૌષધીની તસવીર, તેનાં પાંદડાં, મૂળ, થડ, તેમાંથી બનતાં ટીંચર, તેના સૂકવેલા ભાગો વગેરેની તસવીરો ગ્લેઝ પેપર પર તેના કુદરતી રંગો યથાવત્ રહે તે રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. આયુર્વેદમાં વનસ્પતિને ઓળખવાનું વિશેષ મહત્ત્વ છે એટલે આ તસવીર સાથેનો ગ્રંથ અદભૂત પુરવાર થયો છે. 

ડો. અબ્દુલ કલામના ડિપાટર્મેન્ટ ઓફ આયુષ્યથી માંડીને દેશની ટોચની યુનિવર્સિઓએ તે ગ્રંથ વસાવ્યો છે. તે અગાઉ તેમણે વસુંધરાની વનસ્પતિ નામનો આવો જ ગ્રંથ ગુજરાતીમાં પણ બહાર પાડયો હતો. મુંબઈમાં પાંચ સ્ટોકિસ્ટ નીમ્યા તે પછી વધુ સ્ટોકિસ્ટ નીમવાનું શેઠ બ્રધર્સે બંધ કર્યું. ગામ પ્રમાણે એક કે એકથી વધુ સ્ટોકિસ્ટ નીમતા. અશોકભાઈ કહે છે, ‘સ્ટોકિસ્ટ અને મેડિકલ સ્ટોરવાળા પણ કમાવા જોઈએ. તેમને નાણાં મળશે તો તમારી પ્રોડક્ટ વેચવામાં તેને રસ રહેશે. અન્યથા, ગમે તેટલી સારી કવોલિટી હશે તો પણ માલનો ઉપાડ વધશે નહીં. કાયમ ચૂર્ણ બનાવ્યું તે સાથે જ પેઢીનું નામ પણ રસિકભાઈ-અશોકભાઈએ શેઠ બ્રધર્સ રાખ્યું. આ બન્ને નામ તેમને ફળ્યા છે.

મજાની વાત એ છે કે શેઠ બ્રધર્સ ક્યારેય ઉધાર માલ આપતા નથી. એક દિવસની પણ ક્રેડિટ નહીં. એડવાન્સમાં નાણાં લઈ લેવાના, પછી જ ડિલિવરી રવાના કરવાની. અશોકભાઈ કહે છે, ‘નાનકડી દુકાનમાં બેસીને હાથેથી પાર્સલના બોક્સ બનાવીને લારીમાં ચડાવતા, લારી લઈને ડિસ્ટ્રિબ્યુટ કરવા જતા ત્યારે પણ ઉધાર માલ નથી આપ્યો, આજે પણ નહીં. સ્ટોરવાળાએ નાણાં ચૂકવીને માલ લીધો હોય એટલે તેને વેચવાની ઉતાવળ આવે. ઉધાર નહીં આપવાનો અર્થ એવો નથી કે વિશ્વાસ નથી. પણ, ઉધાર આપો તો વેચવાની ઉતાવળ ન હોય. વળી, દુકાનદાર જરૂરિયાત પ્રમાણે જ માલ મગાવે એટલે માલ પડ્યો ન રહે.

મેનેજમેન્ટ ફંડા

૧. જાહેરાતોની ભાષા, સ્લોગન અને પ્રસ્તુતિ બહુ જ મહત્વની હોય છે, તેની પસંદગી કાળજીભૂર્વક કરવી.
૨. ક્રેડિટ આપવી જરા પણ અયોગ્ય નથી પરંતુ, ક્રેડિટ વગર પણ ધંધો કરી શકાય ખરો.
૩. ધંધાનું વિસ્તરણ ડિમાન્ડ અને સપ્લાયની ક્ષમતા પ્રમાણે થવું જોઈએ.

કાયમ ચૂર્ણ, સોમવા-૩૪, પ્રતિકાર ચૂર્ણ, બીજોરિન અને કે યુવા નામનો ટૂથ પાવડર, આટલી જ પ્રોડક્ટ છતાં આટલી જબરદસ્ત સફળતા અને આવડું મોટું બ્રાન્ડ નેમ કઈ રીતે બન્યું તેવું પૂછતાં અશોકભાઈ શેઠ કહે છે, નોલેજ, કવોલિટી, નીતિ, મહેનત અને નિષ્ઠાના પંચકર્મ જેવા પાંચ સિઘ્ધાંતોના આધારે અમે સફળતા મેળવી છે. આયુર્વેદનું નોલેજ અમારી પાસે વંશપરંપરાગત હતું. 

તેમાં પણ અમે અપડેટ થતા રહ્યા. ગુણવત્તા બાબતે ક્યારેય બાંધછોડ કરતા નથી. દરેક ઔષધીને વૃક્ષ પરથી ઉતારવાથી માંડીને તેને સૂકવવા, ખાંડવા, પલાળવા વગેરે સુધીમાં શાસ્ત્રોકત વિધિ સાથે તેની ગુણવત્તાને પણ મહત્વ આપીએ છીએ. ધંધો હંમેશાં નીતિથી કર્યો છે. ક્યારેય માલ ઓછો કે ખરાબ ન આપવો, કોઈના બે પૈસા પણ ખોટા ન થાય તેની વ્યક્તિગત કાળજી લેવી. મહેનત તો કોઈ મજૂરની જેમ કરી છે. આજે પણ ચારેય ભાઈના પુત્રોનો બહોળો પરિવાર એ જ રીતે રોજના દશ-બાર કલાક મહેનત કરે છે. 

ગ્રાહકો પ્રત્યેની નિષ્ઠા અમે જાળવી રાખી છે, એટલે જ લોકોનો આટલો પ્રેમ મળ્યો છે. નિષ્ઠા અને નીતિની સાથે નસીબ ભળે એટલે સોનામાં સુગંધ ભળે. સાથે જ અમે સારામાં સારાં પેકિંગનો પણ આગ્રહ રાખીએ છીએ. અશોકભાઈ બહુ ભણ્યા નથી. એટલે મેનેજમેન્ટનો અભ્યાસ કરવાની તો વાત જ નથી આવતી પણ, તેમની વાતોમાં આધુનિક મેનેજમેન્ટના કેટલા ફંડા દેખાય છે?

૧. ગુણવત્તાનો કોઈ વિકલ્પ નથી હોતો.
૨. ગુણવત્તાની સાથે મહેનત, નિષ્ઠા અને વ્યવસ્થાતંત્ર જરૂરી છે.
૩. પ્રોડક્ટ ગમે તેટલી સફળ હોય, તેને વિકસાવવા માટે યોગ્ય માર્કેટિંગના ટેકાની જરૂર હંમેશાં રહે છે.

અશોકભાઈ શેઠને મળો તો લાગે કે આ માણસની ઉમર પપ-પ૬ વર્ષની હશે. હકીકતમાં તેઓ ૬પ વર્ષ વટાવી ગયા છે. નવી પેઢીને તેમણે તૈયાર કરી છે. દીકરા ગૌરવથી માંડીને ભત્રીજાઓ દેવેન્દ્રભાઈ, મોહિતભાઈ, કમલેશભાઈ, પ્રજ્ઞેશભાઈ, આલોકભાઈ, તેજસભાઈ શેઠ બ્રધર્સમાં વિવિધ વિભાગો સંભાળે છે. દેવેન્દ્રભાઈને અમે જ્યારે પુછ્યું કે માત્ર છ જ પ્રોડક્ટ કેમ? છ પ્રોડક્ટમાં પણ કોમલા બાલ ગુટિકા ઔષધો નહીં મળવાને કારણે બંધ થઈ ગઈ હતી તે હમણાં ચાલુ થવાની છે. દેવેન્દ્રભાઈનો ઉત્તર નવી પેઢીને શોભે તેવો છે: વિસ્તરણ માટે નવું પ્રોડકશન યુનિટ તૈયાર છે, બહુ જ ટૂંકા ગાળામાં અમે વિવિધ હેલ્થકેર પ્રોડક્ટસ લઈને આવી રહ્યા છીએ. 

શેઠ બ્રધર્સના બે સદીનાં જ્ઞાનનો લાભ કંપની અને ગ્રાહકોને મળે તેવો ઉદેશ છે. અશોકભાઈની બીજી એક ઓળખ એ છે કે તેઓ નિસંતાન દંપતીઓની નિ:શુલ્ક સારવાર કરે છે. રસિકભાઈએ વિકસાવેલી ફોમ્ર્યુલા અને પોતે મેળવેલાં જ્ઞાનનો સમન્વય કરીને અશોકભાઈએ પ૦૦થી વધુ દંપતીઓના ઘરે પારણાં બંધાવ્યાં છે. તેઓ કહે છે, ‘આ સેવાનું કામ છે, તેના પૈસા ન હોય. પૈસા કમાઈ શકાય, કીર્તિ કમાવી અઘરી છે.આયુર્વેદના પ્રસાર માટે દર બે-ત્રણ વર્ષે તેઓ વનૌષધિઓનું વિશાળ પ્રદર્શન વિવિધ શહેરોમાં યોજે છે. 

ગાંઠના ગોપીચંદ કરીને યોજેલા આ પ્રદર્શનમાં સેંકડો વનસ્પતિઓ હોય છે અને તેના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી પણ લખેલી હોય છે. પોતાના ફાર્મ હાઉસમાં પણ ઔષધીઓ ઉગાડી છે અને હોમિયોપેથી તથા આયુર્વેદના વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે, આયુર્વેદના પ્રસારનો ઝંડો તેમણે ચૂપચાપ ઉઠાવ્યો છે. નિરાંતની પળોમાં તબલાં અને હોર્મોનિયમ વગાડવાનો શોખ ધરાવતા અશોકભાઈને નિવૃતિ અંગે પૂછવામાં આવે એટલે હસી પડે છે, ‘નિવૃત્ત થવું જ નથી. હંમેશાં કામ જ કરવું છે. 

શ્રીનાથજી ભગવાન સતત કામ કરવાની શક્તિ આપે એટલું જ તેમની પાસે માગવું છે. હા, એક ઈચ્છા હજી બાકી છે. ફિલ્મની પટકથા લખવાની. મુંબઈના ખ્યાતનામ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અને થિયેટરોના માલિક મનોજભાઈ તેમના મિત્ર છે. મનોજભાઈની સાથે મળીને તક નામની ફિલ્મ બનાવવી છે, પોતાની જ સંઘર્ષયાત્રા પરથી. પોતાની જાહેરાતોનાં સ્લોગનો પોતે જ લખતાં અશોકભાઈનો ભાષા પરનો કાબુ જોતાં લાગે છે કે પટકથા પણ સફળ હશે, કાયમચૂર્ણની જેમ.