Friday, April 15, 2011

LIFE :: જીવનની સાર્થકતા


માણસમાં સમજણ જેમ જેમ આવતી જાય તેમ તેમ પુખ્તતા આવતી જાય છે. જેમ કે નાની ઉંમરે વ્યક્તિની સમજ, હિંમત અને પુખ્તતા એની ઉંમર જેટલી મર્યાદિત હોય છે. એ પછી જ્યારે ઉંમર વધે ત્યારે સમજ વિકસતી જાય છે. એ સમજ વ્યક્તિને પોતાનો સમય કઈ રીતે પસાર કરવો એનું જ્ઞાન આપે છે. મારી દષ્ટિએ મોટાભાગના લોકો પુખ્તતા અથવા સમજણને ભણવાનું પૂરું થાય એ પછી તાળું મારી દેતા હોય છે ! એ પછી એમનામાં ખાસ વધારો જણાતો નથી. આ રીતનું જીવન જાણે સુખ-સગવડોની કેદમાં બંધાઈ જાય છે. સમજ વિકસિત ન થાય તેથી જાગૃતતા પણ વિકસતી નથી. જીવનનો વિકાસ અટકી જાય છે. છેવટે એક જ રૂઢિમાં સવારથી સાંજ, સાંજથી રાત એમ દિવસો, અઠવાડિયાઓ અને વર્ષો ચાલ્યા જાય છે.
એક ફિલ્મમાં કોઈક જુવાન વ્યક્તિને ગાડી લઈને ઘરે આવતો બતાવવામાં આવે છે. લગભગ દોઢ-બે મિનિટ પછી એ જ વ્યક્તિને ફરીથી ગાડી લઈને ઘરે આવતો બતાવવામાં આવે છે, પરંતુ આ બીજીવારના દ્રશ્યમાં ફરક એ છે કે તે વ્યક્તિના વાળ સફેદ થઈ ગયેલા છે, ઘર વીસ વર્ષ જૂનું થઈ ગયું છે અને બાળકો યુવાન અથવા પરિણીત થઈ ગયા છે. આ દ્રશ્યનો અર્થ એ છે કે વચ્ચેના વીસ વર્ષોમાં માણસ રોજિંદી ઘટમાળમાં એવો તો ઘેરાઈ ગયેલો છે કે ફિલ્મમાં વચ્ચેના એ વીસ વર્ષોમાં શું થયું એ બતાવવાની જરૂર જ નથી રહેતી ! આ વાત અહીં કરવાનો ઉદ્દેશ એ છે કે ભણવાનું પૂરું થાય અને વ્યક્તિ નોકરીએ લાગી જાય પછી જીવનમાં જાણે કશું નવું બનતું જ નથી. રૂઢિગત જીવન ચાલ્યા કરે છે. લોકો નોકરી-બાળકો અને સામાજિક જવાબદારીઓની ઘરેડમાં એવા તો જકડાઈ જાય છે કે ચક્કરની જેમ બસ ગોળગોળ ફર્યા કરે છે ! એ બધાની વચ્ચે માણસનો વ્યક્તિગત વિકાસ સાવ શૂન્ય થઈ જાય છે.

No comments:

Post a Comment