Sunday, May 22, 2016

થોડી કડવી જરૂર છે પણ ભારોભાર વાસ્તવિકતા છ

આપણે ત્યાં એક પરંપરા હતી કે દિકરીને સાસરે વળાવ્યા પછી મા-બાપ દિકરીના ઘરનું જમતા નહોતા કે પાણી પણ નહોતા પીતા. કોઇને આ બાબતમાં વેવલાવેળા લાગે પણ વડવાઓએ શરુ કરેલી આ પરંપરા પાછળ કુટુંબને ટકાવી રાખવાની ઉદાત ભાવના હતી.

દિકરીના ઘરનું ના જમવુ એવું નથી પણ જ્યાં સુધી દિકરીને ત્યાં સંતાન ન થાય ત્યાં સુધી દિકરીના ઘરનું ન જમવું એવી શાસ્ત્રોની આજ્ઞા છે.

દિકરી જ્યારે પરણીને સાસરે જાય ત્યારે પિયરીયા જેવુ જ વાતાવરણ સાસરીયામાં ન હોય તે સ્વાભાવિક છે. નવી પરણેલી દિકરી શરુઆતમાં સાસરીયે થોડી અકળાતી હોય. આ સમય દરમ્યાન માતા-પિતા મળવા માટે આવે એટલે દિકરી સાસરીયાની બધી વાતો કરે અને દિકરીને દુ:ખી જોઇ મા-બાપનું હૈયુ ભરાઇ આવે. શક્ય છે કે મા-બાપ અને દિકરી વચ્ચેનો વાર્તાલાપ દિકરીનું ઘર તોડવામાં નિમિત બને.

આવુ ન બનવા દેવું હોય તો મા-બાપ અમુક સમય સુધી દિકરીને ન મળે એવું કંઇક કરવું પડે. દિકરીના ઘરનું જમવાની અને પાણી પિવાની જ મનાઇ કરવામાં આવે તો મા-બાપ દિકરીને મળવા જાય જ નહી અને જાય તો પણ લાંબુ રોકાઇ નહી. એકાદ વર્ષ પછી દિકરીને ત્યાં સંતાન જન્મે પછી મા-બાપ એના ઘરનું જમી શકે. આ એક વર્ષ દરમ્યાન દિકરી નવા વાતાવરણને અનુકુળ થઇ ગઇ હોય વળી સંતાનનો જન્મ પણ થયો હોય એટલે હવે દિકરીને થોડી ઘણી તકલીફ હોય તો સંતાનને રમાડવામાં જ એ તકલીફ ભૂલી જાય અને પરિણામે એ સાસરીયે સેટ થઇ જાય.

આ વાત આજે આપણને સાવ વાહીયાત લાગે પણ વડીલોની ભવિષ્યને પારખવાની અદભૂત શક્તિ આ પરંપરામાં છુપાયેલી છે. બહુ દુ:ખ સાથે કહેવુ પડે કે આજે છુટાછેડાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યુ છે. તમારી આજુ બાજુ જોજો તમને દેખાશે કે લગ્નજીવન બહુ લાંબુ ટકતું નથી કારણકે સ્વતંત્રતાના નામે આપણે દિકરી મટીને વહુ બનવા તૈયાર જ નથી. સ્ત્રીની સ્વતંત્રતા જળવાવી જ જોઇએ પણ દિકરી અને વહુ વચ્ચેના ફરકની પણ એને ખબર હોવી જોઇએ. લગ્નજીવન ઢીંગલા-પોતીયાના ખેલ હોય એવી રીતે 'મને એમની જોડે નથી ફાવતુ એમ કહીને છુટા થઇ જાય છે.' હમણા મને એકભાઇએ કહ્યુ, " સાહેબ હજુ 6 મહીના પહેલા અમારા ગામમાં 5 લગ્ન થયેલા જેમાંથી ત્રણના છુટાછેડા થઇ ગયા અને એકની વાત ચાલે છે."

યાદ રાખજો જે ઘરમાં મા-દિકરી વચ્ચે લગ્ન પછી લાંબી લાંબી વાતો થતી હોય ત્યાં દિકરીની પિયરમાં પરત આવવાની પુરી શક્યતા છે. દિકરીને વહાલ જરૂર કરીએ પણ એટલું વહાલ ન કરવું કે એનું ઘર ભાંગી જાય. આ વાતો થોડી કડવી જરૂર છે પણ ભારોભાર વાસ્તવિકતા છે એ પણ ન ભૂલતા.

posted from Bloggeroid

No comments:

Post a Comment