Wednesday, December 28, 2016

The truth of life

ભાગ્ય કેવું, એક પથ્થર મંદિરે ઇશ્વર થયો,
ને બીજો રસ્તે પડીને રાહની ઠોકર થયો !

કોઇને પામ્યા વિના ના થઇ શક્યું કોઇ મહાન,
કોઇ સરિતાને પૂછો કે શી રીતે સાગર થયો.

તીવ્રતા નો’તી દિલે આઘાત ને આનંદની,
પ્રકૃતિનો સ્પર્શ સાચો તે સમે મન પર થયો.

આંધળો વિશ્વાસ કે શ્રદ્ધા નથી હું રાખતો,
કંઇક વેળા તો મને સંદેહ મારા પર થયો !

આગ ઈર્ષ્યાની દઝાડી કે ન કરમાવી શકે,
પ્રેમની શીતળ સુધાથી માનવી જે તર થયો.

રૂપનાં નિર્મળ પ્રતિબિંબો પડ્યાં વિના રહે ?
મેં જગત સુંદર કર્યું, હું એટલો સુંદર થયો.

જાઉં શું લેવા અનુભવ જિંદગીનો દર-બ-દર ?
એટલો ઓછો નથી, જે કંઈ મને ઘર પર થયો !

એટલે તો મંદ્ર સૂરે ગીત મેં ગાયાં ‘અનિલ’,
જડસમા આ વિશ્વમાં પડઘો જ પ્રત્યુત્તર થયો.

-રતિલાલ ‘અનિલ’

No comments:

Post a Comment