Sunday, September 26, 2010

સંબંધના છોડમાં લાગણીનું સીંચન..

ખોટી વ્યક્તિ કે ખોટા સંબંધમાં કરેલું લાગણીનું રોકાણ ખોટના ધંધા જેટલું જ પીડાદાયક થઇ શકે. તો સાચા માણસ કે સમજણસમૃદ્ધ સંબંધમાં કરેલું લાગણીનું રોકાણ આત્મવિશ્વાસની બેલેન્સને તગડી બનાવે.

ચૈત્ર - વૈશાખના તડકાથી દાઝતા હોઇએ ત્યાં અચાનક કયાંકથી ઠંડા પવનની એકાદ લહેરખી જરાઅમથી સ્પર્શીને વહી જાય તોય કેવી હા...શ અનુભવાય છે! થાય છે એ કૂલ કૂલ અહેસાસને પકડી રાખીએ પણ લહેર તો વહેવામાં માને. હજી તો આવી - અરે કયાંથી આવી તેનાં પગલાં શોધીએ તે પહેલાં તો કયાં ચાલી ગઇ? પણ એ પલકવારમાંય પોતાની આગવી હૈયાતીની હાજરી પુરાવી જાય છે. એ ક્ષણના સહવાસમાં અનુભવાયેલી ઠંડક પેલા દાહક સમયખંડની પ્રચંડ અસરને પળવાર માટે શિકસ્ત દઇ દે છે. કયા બાત હૈ! 

શીતળતાની એક પાતળી લકીરની કેટલી પાવરફુલ પહેચાન?

આ તો થઇ તનના તાપ-દાહ અને તે પરના શીતળતાના લેપની વાત પણ મનના પરિતાપ અને તેને હરતી સંબંધોની શીળી છાંયની તાકાત કંઇ ઓછી નથી. હમણાં જ એક અમેરિકન વ્યક્તિત્વઘડતર નિષ્ણાતનું લખાણ વાંચ્યું. તેઓ લખે છે કે વ્યક્તિના આત્મવિશ્વાસને પ્રબળ અને સઘન બનાવતું સૌથી સશકત પરિબળ કોઇને મારી જરૂર છે, કોઇ મને પ્રેમ કરે છેએ અહેસાસ છે. તો દુનિયામાં કોઇને મારો ખપ નથી, હું કોઇના પ્રેમનું પાત્ર નથીએવી લાગણી આત્મવિશ્વાસની મૂડીને હણવામાં અગ્રેસર પરિબળ છે.

આ લખી રહી છું ત્યારે તાજા જ વાંચેલા એક સમાચાર નજર સામે તરવરે છે. ભાભા એટમિક રિસર્ચ સેન્ટરની એક સાયન્ટિફિક ઓફિસર - સત્તાવીસ વર્ષની એક યુવતી - એ પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ હોદ્દો ધરાવતી અને સંપન્ન પરિવારમાંથી આવતી એ યુવતીની જીવવાની ઝંખના મરી પરવારી! 

છેલ્લાં વરસોમાં દેશ અને દુનિયામાં થયેલી આત્મહત્યાઓના આંકડા જોઇએ, અને ખાસ તો જે સંજોગોમાં કેટલીક આત્મહત્યા થઇ છે તે જોઇએ ત્યારે એક વાતની પ્રતીતિ થાય છે કે ઉચ્ચ શિક્ષણ પામેલા, વેલ-ટુ-ડુ અને સમાજમાં આગવું સ્થાન ધરાવતાં અનેક યુવક-યુવતીઓની જિંદગીમાં કશુંક અત્યંત તીવ્રતાથી ખૂટતું હતું. એમાંનાં ઘણા ખરા ડિપ્રેશનમાં હોવાની વિગત બહાર આવી હતી. એક મિત્રે કહેલો કિસ્સો યાદ આવે છે. તેમની એક કઝિન ડિપ્રેશનમાં હતી. રોજ સવાર પડે ને તેને ડર લાગે કે દિવસ કેમ જશે! કશું જ કરવામાં તેને રસ ન પડે. પરાણેપરાણે રોજિંદાં કામ કરે અને કોઇની સાથે બોલે જ નહીં. પૂછે એનો જવાબ પણ હાકે નામાં હોય અને એય મોઢું હલાવીને આપે. એટલે ઘરના લોકોનું પણ ધીમે ધીમે એની સાથેનું ઇન્ટરએકશન લગભગ ઝીરો જેવું થઇ ગયેલું પણ મારી મિત્ર તેનું ખૂબ જ ઘ્યાન રાખતી. એ રોજ એને ફોન કરે. 

ગુડ મોર્નિંગથી શરૂઆત કરે ને તેને ચીયર અપ કરે. નાની નાની વાતો એની સાથે વહેંચે, નાનાં-મોટાં કામ સોંપે ને પછી તે કામની ઉઘરાણી પણ કરે. પેલી કઝિન કયારેક એને કહેતી કે જોને મારા જેવી વ્યક્તિની કોઇને જરૂર ન હોય. ઊલટું બધાને હું તો તકલીફરૂપ બનું છું. ત્યારે મિત્ર એને કહે કે મને તારી ખૂબ જ જરૂર છે. જો મારી આ બધી વાતો શેર કરવા માટે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો એન્ડ આઇ નીડ યુ સો... મચ. અને કોઇ પણ વાતે તેને હસાવીને જ ફોન મૂકે.

થોડા મહિના પછી એ કઝિન ડિપ્રેશનમાંથી બહાર આવી ગઇ અને એકદમ સાજી થઇ ગઇ ત્યારે ડોક્ટરે પણ સ્વીકાર્યું કે આ માત્ર મારી સારવારનું પરિણામ નથી, દરદીનો પોઝિટિવ એટિટયુડ આ સફળતા માટે બરાબરનો હિસ્સેદાર છે. મારી મિત્રને પાછળથી તે કઝિને કહ્યું હતું: ખરેખર, શ્યામા, ત્યારે મને તારા શબ્દોએ ખૂબ હિંમત બંધાવી હતી. મને થતું હતું ભલે બીજા કોઇને મારો ખપ ન હોય, પણ શ્યામાને તો મારી કેટલી જરૂર છે! 

અને એ વિચારે મને ખોટા વિચાર કરતાં અટકાવી હતી. શરૂઆતમાં તારો ફોન આવે તો મને થતું મારી ચૂપકીદીથી તું પણ કંટાળી જશે અને તને પણ ખોઇ બેસીશ એ વાતે હું ડરતી ને તારો ફોન ન આવે એમ ઇરછતી, પણ પછી તો તારા ફોનની પ્રતીક્ષા કરતી. તારો અવાજ સાંભળું ને મારી ભીતરનું ઠરી ગયેલું - થીજી ગયેલું બધું જાણે આળસ મરડી ઊભું થવા સળવળી ઊઠતું.

લાગણી એ કેટલી અમૂલ્ય સંપત્તિ છે તેનો ખ્યાલ એનાથી જ્યારે દૂર થવાય છે ત્યારે જ આવે છે. રૂપિયા - પૈસા ને જર - ઝવેરાત કે પ્રોપર્ટી ને શેરબજારની મૂડીનું આપણને કેટલું મહત્વ છે! એની સલામતી માટે સેફ ડિપોઝિટ વોલ્ટ ને તાળાંબંધ તિજોરીઓની જોગવાઇ કરવામાં આપણે કેવા ચોક્કસ છીએ! અરે, મૂડીરોકાણ કેમ ઊગી નીકળે, કેમ કૂદકે ને ભૂસકે એમાં વૃદ્ધિ થાય તેમાંય કેવા માહેર છીએ! અખબારોનાં પાનાં ને ટી. વી.ની બિઝનેસ-ચેનલોના એન્કરો સતત આપણા એ મૂડીરોકાણની ચિંતા કરે છે. મૂડીનું રોકાણ કયાં કરવું ને કયાં નહીં તેની ટીપ્સ આપતા રહે છે. આ બધું જોતાં થાય છે આ લાગણી-ઇમોશન્સની મૂડીની પણ આવી ખેવના કરવી જરૂરી છે. 

ખોટી વ્યક્તિ કે ખોટા સંબંધમાં કરેલું લાગણીનું રોકાણ ખોટના ધંધા જેટલું જ પીડાદાયક થઇ શકે. તો સાચા માણસ કે સમજણસમૃદ્ધ સંબંધમાં કરેલું લાગણીનું રોકાણ આત્મવિશ્વાસની બેલેન્સને તગડી બનાવે. આફત કે આપત્તિસર્જિત કટોકટીમાં ટકી રહેવાનું બળ પૂરે છે. ટૂંકમાં જિંદગીના છોડનું જતન કરે છે લાગણીની મૂડી. તોય આપણે એની બેલેન્સ માટે કેમ એટલા સચિંત નથી?

જિંદગીના અત્યંત સુંદર અને ગમતીલા તબક્કામાં જ આપણી આ અતિ મૂલ્યવાન મૂડીનું તળિયું દેખાઇ જાય અને જિંદગીને છોડી દેવાની નોબત સુધી પહોંચાડી દે તે કેવી વિષમતા? વળી પ્રેમ અને લાગણીની આ સંપત્તિ તો આપણને બધાને મળેલી છે. સવાલ એનો સમયસર ઉપયોગ કરવાનો છે, પેલી ઠંડી લહેર પોતાનાં અસ્તિત્વને સાર્થક કરે છે ને તેમ જ!

Visit my blog.......   rkdangar.blogspot.com

No comments:

Post a Comment