Wednesday, November 16, 2011

ઇતિહાસ ની વીતેલી પળો :: સરદાર પટેલ વિષે આપે ન જાણેલી બાબતો....

જો સરદાર જીવતા હોત અને ભારતના સુકાની બન્યા હોત, તો આર્થિક ઉદારીકરણ ૪૦ વર્ષ પહેલાં થયું હોત. આજે જે ચીન કરે છે, એ ક્યારનુંય ભારત લેબર ઓરિયેન્ટેડ એક્સપોર્ટથી કરી ચૂક્યું હોત અને સામ્યવાદી રશિયાને બદલે વાજબી રીતે મૂડીવાદી અમેરિકાની સાથે જોડાણ કરી ચુક્યું હોત, એવા ઉદ્યોગપતિઓના મિત્ર અને મહારાજાઓના રાઝદાર ગણાતા સરદાર ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ ગુજરી ગયા. આજીવન કોંગ્રેસ પાર્ટીના ખજાનચી રહેલો આ પાવરફૂલ પટેલ ભાયડો, જે ભારતવર્ષનો નાયબ વડાપ્રધાન હતો. એ ગુજરી ગયો ત્યારે મિલકતમાં હાથે કાંતેલા કપડા, ૩૦ વર્ષ જૂની એક ઘડિયાળ, તૂટેલી દાંડી સાંધેલા ચશ્મા મુકતો ગયો !
સરદારની સતત સાથે રહેલા દીકરી મણીબહેને ૧૯૮૫માં એક ઇન્ટરવ્યુમાં કહેલું કે મૃત્યુના ત્રણ દિવસ પહેલાં ૧૨ ડિસેમ્બરે સરદાર દિલ્હીથી મુંબઇ જવા નીકળેલા, ત્યારે મણિબહેનને બોલાવીને એક બોક્સ આપેલું. સૂચના આપી કે મને કંઇ થાય તો આ બોક્સ જવાહરને પહોંચતું કરવું. આમાં જે કંઇ છે, એ કોંગ્રેસનું છે. સરદારના નિધન પછી થોડા દિવસે મણિબહેન નહેરૂને મળવા ગયા. ઉઘાડયા વિનાનું બંધ બોક્સ એમને આપ્યું. પેટી એમની હાજરીમાં જ ઉઘાડવામાં આવી. એમાં (એ જમાનાના) ૨૦ લાખથી વઘુ રૂપિયા હતા. જેનો ઉપયોગ નહેરૂએ ૧૯૫૨ની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં પક્ષને જીતાડવા કર્યો હતો !
સરદાર પટેલ જેવા પોતાની નિષ્ઠા, જ્ઞાન, સચ્ચાઇ, દૂરંદેશી મુજબ વખાણ કે ટીકા કરતાં માણસને કોઇ વ્યકિતગત લાભાલાભ કે ગમા-અણગમાની ખેવના નથી હોતી- એ સમજવા જેટલો ઊંચો આપણો સંકુચિત સમાજ ત્યારે પણ નહોતો, અને પોતાની વૃત્તિઓની ફૂટપટ્ટીથી બીજાને માપ્યા કરતો સમાજ આજે ય સરદારને પૂરા સમજી શકે તેમ નથી! સરદારને ય આ ખબર હતી, એટલે એમણે ટોળાઓની ઉપેક્ષા કરવાનું અને બુદ્ધિજીવીઓથી અંતર રાખવાનું શીખી લીઘુ હતું!


No comments:

Post a Comment