Wednesday, November 16, 2011

ઇતિહાસ ની વીતેલી પળો :: સરદાર પટેલ અને અલવર રાજ્ય

એક ફિલ્મી કહાની લાગે એવી સત્યકથા છેઃ
ભારત આઝાદ થયું, ત્યારે રજવાડાંઓના એકીકરણનો પડકાર ઉભો થયો હતો, એ વાત તો જાણે જૂની થઈ ગઈ છે. પણ કાશ્મીરની જેમ સ્વતંત્ર રહેવાની ખુજલી ઉપડી હોય એવા બીજા કેટલાક રાજ્યો હતા. એક હતું રાજસ્થાનનું અલ્વર. અલ્વરના મહારાજાએ ભારતનો રાષ્ટ્રઘ્વજ ફરકાવવાનો ઈન્કાર કરીને પોતાનો જ પચરંગી ઘ્વજ ફરકાવવાનો ચાલુ રાખ્યો હતો. મહારાજા પાર્લામેન્ટમાં નોમેની હતા, પણ ભારત સરકારની નીતિઓ વિરૂઘ્ધ ઝેર ઓકતા. અલ્વરના દીવાન આ જ પ્રવૃત્તિ રાજ્યમાં કરતા. કહેવાય છે કે પાકિસ્તાનને વિવાદનો મુદ્દો મળે એ માટે મહારાજાએ કોમવાદી વલણ શરૂ કરી, લધુમતીઓને રંજાડવાનું શરૂ કરેલું. શુઘ્ધિ અભિયાન અંતર્ગત કબ્રસ્તાનોનો સફાયો બોલાવી દેવાયો હતો.
સરદાર પટેલ દિલ્હી બેઠે બેઠે બસ તમાશો ચૂપચાપ જોતા હતા. રજવાડાની આંતરિક બાબતોમાં સીધી દખલગીરી કરે, તો બીજા રાજાઓ નારાજ થઈ જાય. એવામાં અચાનક ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીની હત્યા થઈ ગઈ. દેશ જ નહિ, સરદાર પણ ખળભળી ઉઠયા. સરદારપ્રેમીઓએ ગાંધીજીએ નેહરૂ ખાતર કરેલા અન્યાયની સાથોસાથ ન્યાય પુરતું એ ય યાદ રાખવું જોઈએ કે ગાંધી ન હોત તો વલ્લભભાઈ પટેલ એક વિલાયતી બેરિસ્ટર જ રહ્યા હોત, સરદાર નહિ. જૈફ ઊંમરે સરદાર માટે ગાંધીની વિદાય એવો વ્યક્તિગત ઝટકો હતો કે થોડા સપ્તાહો પછી એમને જબરો હાર્ટ એટેક આવેલો!
ગાંધીજીના અવસાન બાદ સંયુક્ત રાષ્ટ્રમાં બધા દેશોના ઘ્વજ અડધી કાઢીએ ફરક્યા, પણ અલ્વરે તુમાખીથી પોતાનો ઝંડો નીચે ન કર્યો. લોકોમાં સ્વાભાવિક ગણગણાટ થયો. ત્રીજી ફેબુ્રઆરીએ દેખાવ ખાતર મહારાજાએ એક શોકસભા ગોઠવી. જેમાં એ હાજર રહ્યા, પણ બોલવાથી કતરાતા રહ્યા. બીજે દિવસે સવારે સરદારે મહારાજાને દિલ્હી તેડાવ્યા. એ જ રાત્રે ૯ વાગે ઓલ ઈન્ડિયા રેડિયો પર હેડલાઈન ન્યુઝ હતાઃ ગાંધીજીની હત્યામાં હાથ ધરાવતા કાવતરાંખોર તરીકે અલવરના મહારાજા શકમંદ સાબિત થયા છે. એમને દિલ્હી છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ભારત સરકારના ગૃહખાતાએ આ મામલે મહારાજા અને દીવાનની સંડોવણીની તપાસ શરૂ કરાવી છે, અને અન્ય રજવાડાઓની સંમતિથી અલ્વરના એડમિનિસ્ટ્રેશન માટે ભારત સરકારના એક પ્રતિનિધિની નિયુક્તિ થઈ છે!
૧૦ દિવસ પછી દિલ્હીથી નિમાયેલા વહીવટદારે અલ્વરના મંત્રાલય પર તિરંગો ફરકાવ્યો, અને નિવેદન જાહેર કર્યું કે આ તો છ મહીના પહેલા જ થઈ જવાની જરૂર હતી!એ ઘટનાના પાંચ દિવસ પછી સરદાર પટેલ ખુદ અલ્વર પહોંચ્યા. ૧૯૪૦માં સ્ટેટની મુલાકાતે આવેલા બ્રિટિશ વાઈસરોયનું જે દબદબાથી મહારાજાએ સ્વાગત કરેલું, એથી યે વઘુ ભપકાદાર રીતે સરદારનું સ્વાગત થયું. સાંજે રાજ રિશિ કોલેજના ગ્રાઉન્ડમાં સરદારે પોતાની લાક્ષણિક કટાક્ષમિશ્રિત ધારદાર બાનીમાં પ્રવચન આપ્યું. પુરૂં કરતાં પહેલા ઉધામા કરવા માંગતા મહારાજાપ્રેમી તત્વોને ચીમકી પણ આપી દીધી ‘‘તમારામાંના ઘણાય પાસે ચકચકતી તલવારો હશે, પણ હવે એનું મહત્વ ઝાડૂ જેટલું ય રહ્યું નથી. સાવરણીથી કમ સે કમ કચરો તો વળાય, તલવારથી તો એ ય ન થાય!’’
અલ્વર વિમાની મથકે ઉતરતાવેંત સરદારે મહારાજાના સાળાને બોલાવ્યા હતા. કહેલું કે તમારા બહેન (મહારાણી)ને કહેજો, એમના પતિની ચિંતા ન કરે. એ સુરક્ષિત છે.પછીના થોડાક દિવસોમાં બે ઘટનાઓ બની. હજુ ગાંધીહત્યાની જાંચ ચાલુ હતી, ત્યાં જ ૧૮ માર્ચે અલ્વરના મહારાજાએ ભરતપુર, ધોલપુર અને કરૌલીના બનેલા મત્સ્યયુનિયન (જેમ જામનગર, ભાવનગર, ગોંડલ, મોરબી વગેરેને ભેળવીને એક સૌરાષ્ટ્ર રચવામાં આવેલું તેમ!) સાથે ભળી જઈને ભારત સાથે જોડાણ કરતાં દસ્તાવેજ પર સહી કરી આપી હતી! એ પછી તરત જ એવી જાહેરાત થઈ હતી કે ગાંધી હત્યામાં અલ્વરના મહારાજાની કોઈ સંડોવણી નથી, એવું તપાસ કરતા જાણવા મળ્યું છે. એટલે એમને નિર્દોષ ઠેરવી મુક્ત કરાયા છે!
આજે, અલ્વર રાજસ્થાન ટુરિઝમની જાહેરાતોમાં વિદેશી સહેલાણીઓને ભારતમાં આકર્ષે છે! ત્યાં ભારતીય વાઘોનું સારિસ્કા અભ્યારણ્ય છે.
* * *
પાઠ પુરો થાય અને વિદ્યાર્થીઓને સ્વાઘ્યાય મળે, એમ અહીં કેટલીક શીખ લેવા જેવી છે. સરદારે અલ્વરને ભારતમાં ભેળવવા માટે કોઈ ઉતાવળિયું પગલું ભર્યું નહોતું. ૭ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ અન્ય રાજાઓને આપેલા વચન મુજબ એ આંતરિક મામલામાં દખલ કરીને માંડ એકઠા થયેલા અન્ય રજવાડાઓમાં ચણભણ કરવા માંગતા નહોતા. પણ દેશહિતને ખાતર ગાંધીહત્યા જેવી અંગત આઘાત આપતી ટ્રેજડીમાંથી પણ તત્કાળ સ્ટ્રેટેજી બનાવતા એમને ખચકાટ થયો નહોતો! (આભિજાત્ય, સિઘ્ધાંતો, સૌજન્ય આ બઘું ડાઈનિંગ ટેબલ પરની ડિબેટ્સ કે બ્લોગ પરના બખાળાઓમાં શોભે- કૃષ્ણ, ચાણક્ય કે સરદાર એવી સુંવાળી સૂફિયાણી સલાહોની ચિંતા કરે તો પરિત્રાણાય સાઘુનામ, વિનાશાય ચ દુષ્ક્રિતામનું કામ ક્યારે કરે?) શોક-વિષાદની એ પળોમાં પણ સરદાર સ્વસ્થ ચિત્તે એક અખંડ ભારત અંગેની વ્યૂહરચના કોઠાસૂઝથી વિચારી શક્યા હતા. આકસ્મિક ઘટનાનું તકમાં રૂપાંતર કરી શક્યા હતા.
લુચ્ચાઈ અને વ્યૂહાત્મકતા વચ્ચેની પાતળી ભેદરેખા ઈરાદાની હોય છે. સરદારે પોતાના ફાયદા માટે નહિ, પણ સમગ્ર દેશના ભવિષ્ય ખાતર ગાંધીજીની લાશનો પણ ઉપયોગ કરવામાં લગીરે શરમ રાખી નહોતી. એમનું ઈન્ટેલીજન્સ નેટવર્ક પર્સનલ રિલેશન્સ પર હતું, પગાર પર નહિ. એટલે મહારાજાને ભીડવવા પુરતી- ભેદી માહિતી એમની પાસે તૈયાર પડી હતી. ગાંધીહત્યા પછીના રાષ્ટ્રીય સ્તબ્ધતાના વાતાવરણમાં મહારાજા કંઈ પણ આડુંઅવળું કરે, તો પ્રજા જ એમને જોખી લે. ટાઈમિંગ પરફેક્ટ હતું. ફ્રેકચર થયું હોય તો ય ઘર-ઓફિસના કામ ભૂલી જવાય એવી આપણી પરિસ્થિતિ વચ્ચે સરદાર સગા બાપથી વિશેષ ગાંધીના નિધન સમયે દેશ માટેના એમના એજેન્ડામાં ફોકસ્ડ હતા. વેવલાઈ એમની નક્કર પટલાઇ સાથે ટકી ન શકે. એટલે સ્તો ભારત વિભાજન અનિવાર્ય છે, એ લાગણીશીલ ગાંધીની પહેલાં એ તત્કાલીન સ્થિતિ મુજબ સમજી ગયા હતા, અને કઠોરતાથી ભાગલાનો પ્રસ્તાવ સ્વીકારી દેશના બે ઉભા ફાડિયા થાય એને બદલે સરહદી ચોથિયાં પ્રદેશો ગુમાવીને પણ બાકીના વિરાટ ભારતને વિકસીત કરવા બચાવવામાં સફળ થયા હતા.
પણ આ મક્કમતા પાછળ એક નિર્મળ સંવેદનશીલતાની સરવાણી સૂકાઇ નહોતી. આ પારાવાર ટેન્શન અને ધમાલ વચ્ચે એ અલ્વરના એક યુવાન મહારાણીની માનસિક પરેશાની અને એમને કોઠે ટાઢક આપતો સંદેશો પહોંચાડવાની કાળજી ભૂલ્યા નહોતા ! આવી ચોકસાઇપૂર્વકની ચીવટને લીધે સ્તો બ્યૂરોક્રેટ્સ પણ સરદારનો પડ્યો બોલ ઝીલવા તત્પર હતા.

No comments:

Post a Comment