Sunday, November 20, 2011

ઇતિહાસ ની વીતેલી પળો :: દેવાયત બોદર અને રા’નવઘણ


ઇ.સ. ૧૦૧૦નાં સમયમાં જુનાગઢ રાજ્ય ઉપર રાડિયાસનું શાસન તપતું હતું. ત્યારે સોલંકીઓએ દગાથી રાડિયાસની સેનાને હરાવી રાજાની હત્યા કરી હતી. પરંતુ કુળદપિ રાનવઘણને બોડીદરનાં જ આહીર દેવાયત બોદરનાં ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. બાર વર્ષ બાદ તેની જાણ સોલંકીઓને થતાં દેવાયતને બોલાવી સોલંકીનાં દુશ્મનને તેમની પાસેથી માંગ્યો ત્યારે દેવાયત બોદરે તેમનાં પુત્રને આપી દીધો હતો. અને તેમની નજર સામે તેનો વધ કર્યો હતો. અને સમય જતાં રાનવઘણને લઇ જુનાગઢ જીતી લીધું હતું. આમ ઈતિહાસમાં દેવાયત બોદર તેમની પત્ની આહિરાણી અને ઉગો- અમર થઇ ગયા છે. 
 
ડાયરો જામ્યો છે તો વાત માંડીને કરિયે તો......
ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રાડિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં ગઢનો કાંગરો ય ખેરવી શક્યો નહીં. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રાનું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રાએ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું.
આમ, સોલંકીઓએ કપટથી રાડિયાસને મારી જૂનાગઢ હાથ કર્યું, જેથી રાની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. તેમાંની સોમલદે નામની રાણી મરતાં પહેલા પોતાનાં નાના બાળકને એક વડારણ બાઈને સોંપતી ગઈ. આ બાળક એ જ નવઘણ રાના કુળનો છેલ્લો વંશજ. પેલી વડારણ બાઈ જેમતેમ કરીને બાળ નવઘણને બોડીદર ગામના દેવાયત આહીર પાસે પહોંચાડે છે. દેવાયતને નવઘણની એ જ ઉંમરનાં બે સંતાન છે દીકરો વાહણ અને દીકરી જાહલ. સોલંકીઓનો કેર હોવાં છતાં બહાદુર આહીર દંપતિ નવઘણને સ્વીકારે છે. હવે બે ને બદલે ત્રણ સંતાનો દેવાયતના ઘરમાં ઉછરે છે. સમય પસાર થતો જાય છે. ત્રણેય બાળકો માનો ખોળો મૂકી ફળીમાં રમતા થાય છે. એવે વખતે કોઈ જાણભેદુ સોલંકીઓના થાણેદારના કાન ભંભેરે છે અને વાત છતી થાય છે. ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓનો થાણેદાર એક-એકને પૂછે છે કે સાચે જ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”. વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી. આખરે દેવાયતને બોલાવી થાણેદાર એને જ પૂછે છે, અને સૌનાં આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતાં કહે છે -
મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી. પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલુ હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.
પછી તો ઘરે પત્ની પર કાગળ લખી દેવાયત નવઘણને તેડાવે છે. કાગળમાં લખે છે – “રારાખીને વાત કરજે”.
રારાખીને વાત કરજે” – સોરઠી ભાષાના આ કોયડાને ગુજરાતનાં સોલંકીઓ પકડી ન શક્યા, પણ દેવાયતની પત્ની બધું જ સમજી ગઈ. હૈયા પર પથ્થર મૂકીને એણે પેટના દીકરા વાહણને તૈયાર કરીને મોકલ્યો. નાનકડા વાહણને જોતાં જ આખો આહીર ડાયરો દેવાયતની સ્વામી-ભક્તિ પર ઓવારી ગયો. ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓએ કતલ કરાવી. મર્યો છે એ નવઘણ જ છે એ વાતની ખરાઈ કરવા, તેમેણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહીરાણીને ચાલવાની ફરજ પાડી! પતિ-પત્નીએ હસતા મોંએ પુત્રનું બલિદાન આપી રાના કુળદીપકને જલતો રાખ્યો!



રાનવઘણની વાત અહીં પસંદ કરવા પાછળનો હેતુ એ જ છે. આ વાતની સાથે સંકળાયેલી જે વાત ઓછી જાણીતી છે તે એ કે કેટલાય વર્ષ સુધી વાહણના મૃત્યુ વિશે એક આંસુ ન પાડનાર આહિરાણીએ જ્યારે રાનવઘણ જુનાગઢનો રાજા બને છે ત્યારે વર્ષો પછી પોકે પોકે રડે છે અને વાહણના મરશિયા ગાય છે. આહિરોમાં ત્યારથી બંગડી કે સેંથાનો કોઈ રિવાજ રહ્યો નથી. ત્યારથી કાળુ કાપડુ પહેરીને સતત આહિર સ્ત્રીઓ વાહણનો શોક મનાવે છે, તેમની એ વેશભૂષાની પાછળ રહેલા આ સત્યની કથની આપણી દરેક વાત, દરેક પ્રથા પાછળના ઉંડા ઈતિહાસની સાક્ષી પૂરે છે.


કવિ દુલા ભાયા કાગના જનેતાના દૂધમાંથી સાભાર લીધેલ છે..

3 comments:

  1. i think name of their son was "UGO"..wt u say?

    ReplyDelete
  2. ચુડાસમા , સરવૈયા અને રાયજાદા રાજપૂતો આ બલિદાન ક્યારેય નહિ ભુલે...

    ReplyDelete
  3. ચુડાસમા , સરવૈયા અને રાયજાદા રાજપૂતો આ બલિદાન ક્યારેય નહિ ભુલે...

    ReplyDelete