Friday, December 4, 2015

ખોંખારો

એક નગરમાં રાજાએ ફરમાન કરેલું કે આ નગરના કોઈ પુરુષે કદી ખોંખારો ખાવો નહીં. ખોંખારો ખાવો એ મર્દનું કામ છે અને આપણા નગરમાં મર્દ એકમાત્ર રાજા છે. બીજો કોઈ પણ ખોંખારો ખાશે તો તેણે એક રૂપિયો નગદ દંડ ભરવો પડશે. નગરમાં સૌએ ખોંખારો ખાવાનું બંધ કરી દીધું, પણ એક મર્દ બોલ્યો, ખોંખારો ખાવો એ તો મર્દનો જન્મસિદ્ધ હક છે. હું ખોંખારો ખાઈશ. તે મર્દ દરરોજ રાજમહેલ પાસેથી પસાર થાય, ખોંખારો ખાય અને નગદ એક રૂપિયો દંડ ચૂકવીને આગળ ચાલે. બે-ત્રણ વરસ વીત્યાં. એક વખત તે મર્દ ત્યાંથી ખોંખારો ખાધા વગર જ ચૂપચાપ ચાલવા માંડ્યો.
કોઈએ પૂછ્યું, ‘ભાઈ, શું થયું? રૂપિયા ખૂટી પડ્યા કે મર્દાનગી ઊતરી ગઈ? આજે તમારો ખોંખારો કેમ શાંત થઈ ગયો?’
પેલો મર્દ બોલ્યો, ‘આજે મારે ઘેર દીકરીનો જન્મ થયો છે. આપણા સમાજમાં દીકરીના બાપને મર્દાનગી બતાવવાનું નથી શોભતું. દુનિયાના વહેવારોમાં દીકરીના બાપે ખોંખારા નહીં, ખામોશી ખાવાની હોય છે. મારી પાસે રૂપિયાય નથી ખૂટu કે મારી મર્દાનગી પણ નથી ઊતરી ગઈ, પણ દીકરીના બાપને ખોંખારા ન શોભે, ખાનદાની શોભે. મારે ઘેર દીકરીએ જન્મ લઈને મારી ખુમારીના માથે ખાનદાનીનો મુગટ મૂક્યો છે.’

દીકરીના બાપ થવાનું સદ્ભાગ્ય ભગવાન શંકર, રામ અને કૃષ્ણનેય નથી મળ્યું. કદાચ એટલે જ એમણે ત્રિશૂલ, ધનુષ્ય અને સુદર્શન ચક્ર જેવાં હથિયારો હાથમાં લેવાં પડ્યાં હશે. શસ્ત્ર પણ શક્તિ છે. શક્તિ સ્ત્રીલિંગ છે. દીકરીની શક્તિ ન મળી હોય તેણે શસ્ત્રથી ચલાવી લેવું પડે છે. ભગવાન મહાવીરને દીકરી હતી. એનું નામ પ્રિયદર્શના. મહાવીરે શસ્ત્ર હાથમાં ન લીધું. તેમણે જગતને કરુણાનું શાસ્ત્ર આપ્યું. સંસારને કાં તો શસ્ત્ર જોઈએ કાં તો શાસ્ત્ર જોઈએ. દીકરી હોય ત્યાં શસ્ત્રની ગરજ ટળી જાય.

સાભાર
(ગામ ના ચોરા ના ભાભલાનો)

www.rkdangar.blogspot.com

posted from Bloggeroid

No comments:

Post a Comment