Thursday, October 27, 2016

ધનતેરસ

દીપોત્સવી એટલે જ સહજ આનંદનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ,પ્રસન્નતાનો ઉત્સવ. દીપોત્સવી પર્વ એટલે માત્ર દિવાળીનો તહેવાર નહી. દીપોત્સવી પર્વ તો ઉત્સવોનું સ્નેહ સંમેલન ગણાય.ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ આ પાંચ વર્ષનો પ્રારંભ વાગ્ (વાઘ નહીં) બારસથી શરૃ થાય. કોઈ સ્નેહ સમારોહનો પ્રારંભ ઉદ્ઘોષકથી થાય તેમ દીપ પર્વનો પ્રારંભ વાગબારસથી શરૃ થાય. આપણા ઋષિમૂનિઓ અત્યંત તેજસ્વી અને ઓજસ્વી હતાં. દરેક પર્વની ઉજવણીની ગોઠવણી એવી રીતે કરી કેતેમાંથી આધ્યાત્મિક લાભ મળવા ઉપરાંત સમાજ જીવનનો બોધપાઠ પણ મળે. બીજા અર્થમાં સમૂહ જીવનમાં જીવન જીવવામાં સંદેશો આધ્યાત્મિક ઉજવણી દ્વારા ધર્મભીરૃ કે ધર્મપ્રેમી પ્રજાને મળતો રહે તેવી અદ્ભૂત ગોઠવણી આપણા ઋષિમૂનિઓએ કરી છે. દીપ પર્વ પાછળ પણ આવો જ સંદેશ છૂપાયેલો છે. વાગ્ એટલે કે વાણી. માનવીના જીવનમાં વાણી પવિત્ર બની રહે, મધુર બની રહે, સંયમિત બની રહે તો જીવનના ઘણા ખરા પ્રશ્નો જ ઉપસ્થિત ન થાય. માનવીને જીવવા માટે અર્થ એટલે કે લક્ષ્મીની આવશ્યકતા રહે છે. જીવન એટલે માત્ર લક્ષ્મી એમ ન માનીએ તો પણ લક્ષ્મી વગર જીવવું દુષ્કર જરૃર છે. આજના ભૌતિક જીવનમાં લક્ષ્મી કેન્દ્ર સ્થાને છે. ધનતેરસ એટલે લક્ષ્મીપૂજનનો દિવસ. ભારતીય સંસ્કૃતિમાં લક્ષ્મીને અસ્પર્શીય કે તુચ્છ કે તાજ્ય ગણવામાં નથી આવી. પરંતુ લક્ષ્મીની આવશ્યકતા સ્વીકારીને જેની પાસે નથી, જયાં જરૃર છે ત્યાં દાનનો મહિમા પણ ગાયો છે. પરંતુ આ લક્ષ્મી એટલે સુકૃત લક્ષ્મીના મહિમાનું ગાન છે. વિકૃત લક્ષ્મીનું નહીં. આપણે પત્ની કે વહુને ઘરલક્ષ્મી કહીએ છીએ. ઘણા લક્ષ્મીનેદાસી ગણી જીવવાની વાતો કરે છે. શ્રીસુકૃતમાં લક્ષ્મીને મનપગામિની કહી છે.
લક્ષ્મીને પગ નથી પણ ચંચળ કહી છે. વાસ્તવમાં લક્ષ્મી ચંચળ નથી. લક્ષ્મીવાન માનવીની મનોવૃત્તિ ચંચચ બને છે. વિત્ત શક્તિ છે તેનાથી દેવ પણ બની શકાય અને દાનવ પણ બની શકાય. લક્ષ્મીને ભોગપ્રાપ્તિનું સાધન ગણનારા ગર્તામાં ગબડે છે. વાસ્તવમાં ધન માટેની તરસ એટલે ધનતેરસ નહીં પણ લક્ષ્મીને માતા સ્વરૃપે સ્વીકારો તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાની ભાવના સાથે પૂજન થાય તો લક્ષ્મી ઘરમાં કાયમી વસવાટ કરે છે. વિકૃત માર્ગે વપરાય તેઅલક્ષ્મી, સ્વાર્થમાં વપરાય તે વિત્ત, પરાર્થે વપરાય તે લક્ષ્મી અનેપ્રભુકાર્યમાં વપરાય તે મહાલક્ષ્મી. ધનતેરસમાં એટલે જ મહાલક્ષ્મીનું પૂજન થાય છે. ધન પૂજા તે અભરે ભરાઈ તેટલા નાણાંની આંકાક્ષા પરિપૂર્ણ થાય તે માટેની પૂજા નથી. 
ધનતેરસની તૃપ્તિ માટે નથી પણ લોકકલ્યાણની પ્રભુ ઈચ્છા પૂર્ણ થાય અને પ્રભુ ઈચ્છા પૂર્ણ કરવા માટે પોતાનું જીવન પણ સુખરૃપ વ્યતિત થાય તે માટે કદી ધનનો અભાવ ન સહેવો પડે તે માટે ધનતેરસના દિવસે મહાલક્ષ્મી પૂજા કરવામાં આવે છે. સમાજ જીવનનો સંદેશ એ છે કે ધનને પૂજા કરીને સતત યાદ રાખો કે ધન પૂજ્ય છે. અવળે રસ્તે વપરાતું ધન પતન નોતરી શકે છે. ધન વગર જીવવું શક્ય નથી તે જીવનનો બીજો બોધ દીપ પર્વમાં સ્વીકારાયો છે. પણ પૂજન સાથેનો સંદેશો એમ કહે છે કે જીવન સારી રીતે જીવી શકાય પ્રભુ કાર્ય માટે ખૂટે નહીં તે જરૃરી છે. ધનતેરસ પૂરી કરવા નહી. સંપત્તિ સમાન નીતિથી વાપરો. રીતથી આપો પ્રીતથી આ સામાજીક સંદેશ ધનતેરસ પર્વમાં છૂપાયેલો છે. આવો સંદેશો ઝીલનાર પરિવારમાં લક્ષ્મીનો કાયમી વસવાટ હોય છે. રઘુવંશ તેનું જ્વલંત ઉદાહરણ છે. જીવનમાં મધૂર વાણી અને દ્રવ્યશક્તિ મહત્ત્વની છે. તેમ જીભ રક્ષા માટે ક્રિયા શક્તિ અને સુરક્ષા મહત્ત્વની છે. આ માટે ચૌદશને દિવસે મહાલક્ષ્મીની પૂજાની વિધિ થાય છે.  મહાકાલી પૂજાનો સામાજીક સંદેશ છે કે જીવનનું સુચારું ઢબે રક્ષણ કરો. રોગ, ભોગ કે બાહ્ય તથા કામ, ક્રોધ, મદ, મોહથી જીવનને બચાવો તો દિવાળીએ જીવનમાં પ્રકાશ ઝગમગી ઉઠશે. આ પ્રકાશ જીવનમાં નિરંતર ઝળહળતો રહે તે માટે જ્ઞાન રહેતા સરસ્વતિ એટલે શારદા પૂજનનું આધ્યાત્મિક મહત્ત્વ આલેખવામાં આવ્યું છે. જ્ઞાન વગર મનુષ્ય જીવન તુચ્છ છે. અજ્ઞાનીએ કોઈ ગણકારશે નહીં, માટે જ્ઞાનિ બનો. આજના યુગમાં કદાચ આ વાત વધુ યથાર્થ છે. શારદા પૂજન જ્ઞાનની ઉપાસનાનો અર્થ આપે છે. આમ દીપ પર્વના તમામ મહત્તવના દિવસોએ માત્ર ર્ધાિમક ક્રિયાકાંડ કે વિધિ વિધાન નથી. તે જ રીતે માત્ર આનંદ પ્રમોદના જ પર્વ નથી. તેમાં ચોક્કસ સામાજિક સંદેશા છૂપાયેલા છે. આવો આજે આપણે આ સંદેશાઓને ઓળખીએ અને અપનાવીએ. શરૃઆત ધનતેરસથી કરીએ, ધનની તરસ છીપાવવાની દોટને બદલે ધનતેરસની ઉજવણી કરીએ.

લક્ષ્મીપૂજનની વિધિ 
ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં પૂર્વ કે ઉત્તર બાજુ મુખ રાખી બેસવું. સામે બાજોઠ કે પાટલો મુકવો. પાટલા ઉપર કે બાજઠ ઉપર પીળુ રેશમી વસ્ત્ર પાથરવું. રેશમી વસ્ત્ર ઉપર લક્ષ્મીજી,ગણેશ અને સરસ્વતી ત્રણેયની ભેગી તસવીરવાળો ફોટો (ઉપર મુજબનો)મુકવો. લક્ષ્મીજીનો સિક્કો કે  સિધ્ધ કરેલ સંપૂર્ણ શ્રીયંત્ર મુકવું. ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાની હોવાથી થોડા રૃપિયા કે સોના કે ચાંદીના સિક્કા પૂજા માટે રાખવા. બાજઠ ઉપર ચોખાની ઢગલી કરી અષ્ટદળ(આઠ પાંદડીવાળુ ફૂલ) બનાવવું. તેની ઉપર જળ ભરેલો તાબાનો લોટો મુકવો. તે લોટામાં સવા રૃપિયો રોકડો મુકવો. લોટાને નાળાછડી બાંધવી. તેના ઉપર નાગરવેલના દાંડલીવાળા સાત પાન ફૂલની જેમ(પાનની અણી બહારના ભાગે રહે તે રીતે) ગોઠવવા. દરેક પાન ઉપર કંકુથી ‘શ્રી’લખવું. તેના ઉપર નાળાછડીથી બાંધેલુ પાણેચુ નાળીયેર આખું મુકવું. નાળીયેર ઉપર પણ  કંકુથી શ્રી લખવું અને કંકુનો સાથિયો કરવો. કુંભને ચારે તરફ ચાંદલા કરી ફૂલ ચડાવવા.  એ પછી ત્રણ આચમની લેવી અને મંત્ર બોલવો 
‘ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણય નમઃ, ઓમ માધવાય નમઃ’ 
ત્યાર બાદ ઓમ ગોવિંદાય નમઃ એમ બોલી હાથ ધોવા. તરભાણામાં કે થાળીમાં ત્રણ સોપારી, ગણપતિ તથા રિધ્ધિ અને સિધ્ધિના પ્રતિક તરીકે મુકવી. આ ત્રણેય સોપારીને જળથી સ્નાન કરાવવું, પછી પાંચ વખત પંચામૃતથી સ્નાન કરાવી ફરી શુધ્ધ જળથી સ્નાન કરાવી, નાગરવેલના પાન ઉપર બાજઠ પર મુકવી.ત્રણેય સોપારીનું અબીલ,ગુલાલ,કંકુથી પૂજન કરવું અને નાળાછડી વસ્ત્ર તરીકે અર્પણ કરવી અને એ પછી ગણપતિનો મંત્ર નીચે પ્રમાણે બોલવો. ‘વિધ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,  નાગાનનાય શ્રુતિ યજ્ઞા વિભૂષિતાય, લમ્બોદરાય સકલાય જગતજીતાય, ગૌરીસુતાય ગણનાથ નમોનમોસ્તુતે, લમ્બોદર નમસ્તુભ્યંસતતંમોદકપ્રિય,ર્નિિવધ્નં કુરુમેદેવ સર્વકાર્યાર્થસિધ્ધયૈ’ આટલી વિધિ બાદ તરભાણા કે થાળીમાં લક્ષ્મીજીનો સિક્કો કે સંપૂર્ણ શ્રીયંત્ર મુકી લક્ષ્મીજીનું ધ્યાન ધરવું અને નીચે મુજબ મંત્ર બોલવો.
‘યા દેવી સર્વ ભુતેષુ લક્ષ્મીરૃપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ,નમસ્તસ્યૈ,નમસ્તસ્યૈ નમો નમઃ શ્રી મહાલક્ષ્મયૈ નમઃ આવાહનં સમર્પયામિ’ 
થાળીમાં સોના-ચાંદીના સિક્કાઓ પધરાવવા અને તેને શુધ્ધજળથી સ્નાન કરાવવું. એ પછી પાંચ ચમચી પંચામૃતથી સ્નાન કરાવવું. (દરેક વખતે ઘી, દૂધ, મધ, સાકર, દહીંથી સ્નાન કરાવતા હોય તેવી ભાવના રાખવી.) આ દરમિયાન ‘શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ’ એવો મંત્રજાપ સતત રટતા રહેવું. ત્યારબાદ શુધ્ધજળથી સોના-ચાંદીના સિક્કાઓ સ્વચ્છ કરીને નાગરવેલના બે-ત્રણ પાન ઉપર સિક્કાઓકળશની બાજુમાં સ્થાપિત કરવા. આ સિક્કાઓ ઉપર અબીલ-ગુલાલ અને કંકુ પધરાવવા. લક્ષ્મીજીને લાલ કલરના ફૂલ પસંદ હોય ગુલાબના ફૂલ પધરાવવા. ત્યારબાદ કેળાનો પ્રસાદ ધરાવી થાળીમાં કપૂરની ગોટી પ્રગટાવી આરતી કરવી.(આરતી મનપસંદ ગાઈ શકાય) એ પછી નીચે મુજબના મંત્રનો ઓછામાં ઓછો અગિયાર વખત અને વધુમાં વધુ શક્ય હોય તેટલો સહપરિવાર શ્રધ્ધાપૂર્વક જાપ કરવો. 
ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ.  શ્રીં હ્રીં શ્રી ંઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ 
શ્લોક પૂર્ણ થયે સર્વે પરિવારજનોએ મહાલક્ષ્મીજીને પગે લાગીને કહેવું કે અમારા ઘરમાં શુભ લક્ષ્મી સ્વરૃપે સ્થિર વાસ કરો.

ધન તેરસ, ધેનુ તેરસ 
ભારતવર્ષનાં વૈદિકકાળમાં વ્યક્તિની સંપતિનું મૂલ્ય ત્રણ પ્રકારે થતું હતું. એક જ્ઞાન, ધર્મ અને ભૌતિક સંપતિમાં ગાય. આજે જેટલું કાગળની નોટનું મહત્વ છે એટલું જ મહત્વ ધેનુ અર્થાત ગાયનું પ્રાચીન સમયમાં હતું.સામાન્ય રીતે આપણને એવો પ્રશ્ન થાય કે ગાય માતાને સંપતિના મૂલ્યમાં શા માટે આંકવામાં આવે છે ? તો એના બે સામાન્ય કારણો આવે છે. એ તો સૌને ખબર જ હશે કે,ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનધારી શા માટે કહેવાય છે. ઈન્દ્રનાં અભિમાનનું ખંડન કરવા માટે શ્રી કૃષ્ણએ લીલા કરી. બારેય મેઘખાંગા થતાં ગાયો અને ગૌપાલકોને બચાવવા માટે ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. ગાયોના રક્ષણ કરવા બદલ શ્રી કૃષ્ણને ગૌલોકના ઈન્દ્રનું પદ આપવામાં આવ્યું. બીજૂ ગાયોની નિત્ય પૂજા કરવાની પ્રચલિત પરંપરા હતી. આજે એ વિસરાઈ ગઈ છે. ધેનુ તેરસના દિવસે ગાય માતાનું પૂજન પણ અતિ મહાત્મ્ય ધરાવે છે. ધેનુમાં ૩૩ કરોડ દેવતાનો વાસ હોવાથી આમ તો ગૌ સેવા સર્વ ઐશ્વર્યદાતા છે.ધેનુ તેરસના દિવસે ગાય માતાની સાચી પૂજા કરવા સંકલ્પ લેવા જોઈએ. એક તો ખાદ્યપદાર્થ ધરાવતો પ્લાસ્ટિકનો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. જેથી ગાય એને આરોગે નહી. બીજુ, ગૌ માતાની રક્ષા માટે સદા તત્પર રહેવું. ગાયને કતલખાને જતા રોકવા માટે દરેક ગૌપ્રેમીઓએે પ્રયત્નો કરવા જોઈએ. જો આટલું કરવામાંઆવે તો પણ નિત્ય લક્ષ્મીપૂજન સમાન છે. ગૌમુત્ર શ્રેષ્ઠઆયુર્વેદિક ઔષધિ છે. ગાયનું છાણ ખાતર તરીકે ઉપયોગ થાય છે અને એવા પ્રકારની ખેતી શ્રેષ્ઠપરિણામો મળ્યા છે. બળદ ટ્રેક્ટર કરતા વિશેષ ઉપયોગી છે. પંચગવ્ય એટલે કે ગાયનું દૂઘ, ધી, દહી, મૂત્ર અને છાણના પૂજાપાઠ સમયે સેવનથી તમામ પાપો નાશ પામે છે. અખાદ્ય પદાર્થ ખવાઈ ગયો હોય તો એ પાપમાંથી મુક્તિ મળે છે. 

સોનાની ખરીદીનું મહાત્મ્ય
શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે, સોનામાં દેવી લક્ષ્મીનો વાસ છે. શ્રી સુક્તમના પાઠમાં લક્ષ્મીને સુવર્ણમયી કહેવામાં આવી છે. ધનતેરસસોનાની ખરીદી માટે વણલેખાયેલું મુહૂર્ત છે. એટલા માટે સોની બજારમાં આ દિવસે વિશેષ ભીડ જોવા મળે છે. દિવાળી બાદ દેવદિવાળી અને એ દિવસે વિષ્ણુ-વૃંદાના લગ્નબાદ લગ્નસરા રહેતી હોવાથી એના અનુસંધાને પણ ધનતેરસના દિવસે દીકરીને કન્યાદાનમાં દેવા સુવર્ણના આભૂષણોની ખરીદી કરવામાં આવે છે.સોનામાં લક્ષ્મીજીનો વાસ હોવાથી તેને વેચી શકાતું નથી. પ્રાચીનકાળમાં રાજવી સિવાય કોઈ લોકો સોનાના આભુષણો ધારણ કરતા નહીં. માત્ર પૂજાપાઠ કે અન્ય ર્ધાિમકપ્રસંગો માટે સોનાનો ઉપયોગ થતો હતો. ધનતેરસના દિવસે લક્ષ્મીની કામના કરવાનું મહાત્મ્ય છે. અહીં એ વાત પણ ન ભૂલવી જોઈએ કેઅનીતિ-દુરાચારના માર્ગે મળેલી સંપતિ આભાસી છે. એ લક્ષ્મી નથી. નીતિથી મળેલી લક્ષ્મીનું હાથીને અંબાડીએ બેસાડી સ્વાગત કરવું જોઈએ.



સૌને ધનતેરસની શુભેચ્છાઓ!

No comments:

Post a Comment